મુંબઈ ભારતમાં અત્યંત શ્રીમંત લોકોની સંખ્યા ગયા વર્ષે 7.5 ટકા ઘટીને 12,069 થઈ હતી, પરંતુ આગામી પાંચ વર્ષમાં તે વધીને 19,119 થવાની ધારણા છે. બુધવારે જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 30 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા અત્યંત શ્રીમંત ભારતીયોની સંખ્યા વર્ષ 2022માં 12,069 હતી. આ વર્ષ 2021ની સરખામણીમાં 7.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. જો કે, ધ વેલ્થ રિપોર્ટ 2023માં કહેવામાં આવ્યું છે કે દેશમાં અત્યંત શ્રીમંત લોકોની સંખ્યા 2027 સુધીમાં વધીને 19,119 થવાની ધારણા છે. તે જ સમયે, આગામી પાંચ વર્ષ સુધીમાં દેશમાં અબજોપતિઓની સંખ્યા 195 સુધી પહોંચવાની આશા છે. વર્ષ 2022માં અબજોપતિ ભારતીયોની સંખ્યા વધીને 161 થઈ ગઈ, જ્યારે 2021માં તેમની સંખ્યા 145 થઈ ગઈ.
રિપોર્ટ અનુસાર, દેશમાં 1 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની સંખ્યા ગયા વર્ષે વધીને 7,97,714 થઈ જ્યારે 2021માં તેમની સંખ્યા 7,63,674 હતી. આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા વધીને 16,57,272 થવાની ધારણા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે અત્યંત અમીર લોકોની સંખ્યામાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એક વર્ષ અગાઉ 2021માં તેમની સંખ્યામાં 9.3 ટકાનો વધારો થયો હતો. ગયા વર્ષે, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને આર્થિક મંદીની આડ અસરોએ અતિ સમૃદ્ધ લોકો માટે સંપત્તિ સર્જનની તકોને અસર કરી હતી.