ગુજરાત સહિત ભારતમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે. જેના કારણે બાંધકામના કામમાં હાઈટેક સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. બાંધકામના કામોમાં હાઈ-ટેક મશીનરી અને સાધનોના વધતા ઉપયોગથી બાંધકામ ખર્ચમાં 40% સુધીનો ઘટાડો થયો છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાનો સમય પણ અડધો થઈ ગયો છે. અગાઉ 12-15 માળની ઇમારત બનાવવામાં 4-5 વર્ષ લાગતા હતા, પરંતુ હવે તે માત્ર બેથી અઢી વર્ષમાં જ પૂર્ણ થઇ શકે છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ બાંધકામ સાધનોના સૌથી મોટા પ્રદર્શન Excon માટે ગુરુવારે અમદાવાદમાં રોડ શોનું આયોજન કર્યું હતું. EXCON પ્રદર્શન બેંગલુરુમાં 12 થી 16 ડિસેમ્બર દરમિયાન યોજાશે.
એક્ઝોનની સ્ટીયરિંગ કમિટીના સભ્ય આનંદ સુંદરેસને જણાવ્યું હતું કે ભારતમાં 2021-22માં બાંધકામ સાધનોના 80,000 યુનિટ વેચાયા હતા. જ્યારે 2022-23 દરમિયાન વેચાણની સંખ્યા વધીને 1 લાખ થઈ ગઈ. ભારતના બાંધકામ સાધનો ઉદ્યોગનું કદ આશરે રૂ. 56,000 કરોડ છે. વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને જોતાં, અમારું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગ વાર્ષિક 15%ના દરે વૃદ્ધિ પામશે. આગામી સમયમાં વેચાણનો આંકડો 2.5 લાખની ઉપર પહોંચી શકે છે.
CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન દર્શન શાહે જણાવ્યું હતું કે ભારતની આર્થિક પ્રગતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની ક્ષમતા સાથે જોડાયેલી છે, જેને પગલે સરકારે રૂ. 10 લાખ કરોડની નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે. સરકારે બાંધકામ ક્ષેત્રે ટેકનોલોજીના વિશાળ અવકાશ અને અપાર સંભાવનાઓને માન્યતા આપી છે. સરકારે PMAY-U હેઠળ ટેક્નોલોજી સબ-મિશનના ભાગ રૂપે 54 નવીન વૈશ્વિક તકનીકોની ઓળખ કરી છે. આ પહેલથી તમામ હિતધારકો માટે વધુ સમાવિષ્ટ અભિગમનો માર્ગ મોકળો થવાની અપેક્ષા છે.
કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર, જર્મની, ઈટાલી, જાપાન સહિતના ટોચના દેશોની કંપનીઓ ભારતમાં બાંધકામના સાધનોનું ઉત્પાદન કરે છે. ઉદ્યોગ કુલ ટર્નઓવરના લગભગ 5% સાધનોની નિકાસ કરે છે. ઉદ્યોગનો વિકાસ થયો હોવા છતાં, આજે પણ 40% ઘટકોની આયાત કરવી પડે છે. ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે વિદેશી કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર તરફથી પ્રોત્સાહન નીતિ અથવા પ્રોત્સાહન મળવું જોઈએ.