નવી દિલ્હી: ચાર યુરોપિયન દેશોના સમૂહ EFTA સાથે ભારતનો મુક્ત વેપાર કરાર દ્વિપક્ષીય વાણિજ્ય, રોકાણ, રોજગાર સર્જન અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે. સોમવારે એક સત્તાવાર નિવેદનમાં આ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ, જેઓ હાલમાં બ્રસેલ્સની મુલાકાતે છે, તેમણે ચાર EFTA સભ્ય દેશોના પ્રતિનિધિઓ સાથે મેગા વેપાર કરાર સંબંધિત પ્રક્રિયાગત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. યુરોપિયન દેશોના આ જૂથમાં આઈસલેન્ડ, લિક્ટેંસ્ટાઈન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.
અગાઉ 26 એપ્રિલના રોજ, ભારત અને EFTAએ વેપાર કરાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંબંધિત મોડલિટીઝ પર ચર્ચા કરી હતી. વાટાઘાટો પૂર્ણ થયા બાદ જારી કરાયેલા એક અખબારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ વ્યાપક વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) ના નિષ્કર્ષ તરફના પ્રયાસો ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નિવેદન અનુસાર, બંને પક્ષો તેમના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા અને વાતચીત પ્રક્રિયા ચાલુ રાખવા તેમજ આગામી કેટલાક મહિનામાં આવી ઘણી બેઠકો યોજવા માટે સંમત થયા હતા. તેણે વેપાર કરારમાં સામેલ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમજણ વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.
બંને પક્ષો વચ્ચેના મુક્ત વેપાર કરારને સત્તાવાર રીતે TEPA કહેવામાં આવે છે. આવા કરારોમાં, બંને વેપારી પક્ષો એકબીજાની આયાત પર કસ્ટમ ડ્યુટી શૂન્ય અથવા મર્યાદિત કરવા તેમજ સેવાઓ અને રોકાણોની નિકાસ વધારવા માટે સંમત થાય છે. EFTAમાં સામેલ આ ચાર દેશો યુરોપિયન યુનિયનનો ભાગ નથી. આ દેશોમાં ભારતની નિકાસ એપ્રિલ 2022-ફેબ્રુઆરી 2023 દરમિયાન $1.67 બિલિયન રહી હતી જ્યારે ભારતે આ સમયગાળા દરમિયાન $15 બિલિયનની આયાત કરી હતી.