સેરેબલ પાલ્સીથી અસરગ્રસ્ત ૨૫ વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાની પ્રેરણાગાથા
રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મૂર્મુજીના હસ્તે ‘શ્રેષ્ઠ દિવ્યાંગ જન ૨૦૨૩’નો એવોર્ડ મેળવનાર જયે ૬ વર્ષ દરમિયાન ૩૫૦થી વધુ કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યાં
(જી.એન.એસ),તા.૦૮
જીવનની રોજબરોજની સમસ્યાઓ અને પ્રશ્નો વચ્ચે આ ગાથા તમને તમારા ધ્યેય સુધી પહોંચવાની ઝંખનાને વધુ પ્રબળ બનાવશે. આ યુવાનની વાત જાણીને અઘરાં અને અશક્ય લાગતાં કામો તમને સરળ લાગશે. અમદાવાદના 25 વર્ષીય યુવાન જય મહેશભાઈ ગાંગડીયાએ શારીરિક મર્યાદાઓ છતાં પોતાની એવી ખૂબી વિકસાવી કે આજે તેઓ અનેક લોકો માટે પ્રેરણાસ્રોત બની ગયા છે. પોતાની ચિત્રકળાથી છેલ્લાં છ વર્ષ દરમિયાન તેમણે ૩૫૦થી વધુ કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યાં છે. જેમાંનાં અનેક પેઇન્ટિંગ તેઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોને ભેટ આપી ચૂક્યા છે.
તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડીયાને શ્રેષ્ઠ દિવ્યાંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રોપદી મૂર્મુજીના હસ્તે પ્રાપ્ત થયો છે. પોતાની કલ્પનાશક્તિ અને રંગ ભરેલી પીંછી કેનવાસ પર ચલાવી અદભુત ચિત્રો ઉપસાવવાની કળાથી જય સમગ્ર ગુજરાતનું ગૌરવ બન્યો છે, તેમનાં ૩૫૦થી વધુ પેઇન્ટિંગ્સમાં મિશન ચંદ્રયાન, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ગુજરાતનો ગરબો, અમદાવાદ શહેરની સાંજ સહિતના નયનરમ્ય ચિત્રોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલી ‘શબ્દ રંગ’ ચિત્ર સ્પર્ધામાં તેમના જ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ અને કવિતા ‘માડી મને કૌવત દેજે’ પરથી ‘મિસ યુ મોમ’ ચિત્ર બનાવ્યું હતું, જેને વિનર ફોર બેસ્ટ પેઇન્ટિંગનો એવોર્ડ મળ્યો હતો. જયની આ શ્રેષ્ઠત્તમ કલાકારી છે.
જન્મથી જ જયને દત્તક લેનાર પિતાએ જણાવી સંઘર્ષગાથા
જય ગાંગડીયાની આટઆટલી સિદ્ધિઓ અને પ્રસિદ્ધિ વિશે જાણ્યા બાદ તમને કદાચ સવાલ થતો હશે કે, શું જયને જન્મજાત આ તકલીફ હતી? અનેક સમસ્યાઓ વચ્ચે પણ તે આટલો સફળ કેવી રીતે થયો? આ સવાલનો જવાબ આપતા જયના પિતા મહેશ ગાંગડીયા કહે છે કે, જયને અમે જન્મના પહેલા દિવસથી જ દતક લીધેલો છે. તે ત્રણ દિવસનો હતો ત્યારે કમળો થઈ જતા તાવ અને ખેંચ આવતી હતી. જેના કારણે તે સરેબલ પાલ્સી એટલે કે મગજના લકવાનો શિકાર બન્યો. સમય જતાં તેની આ ડિસેબિલિટી ૮૦% થઈ ગઈ.