મોરોક્કોમાં ભૂકંપના કારણે 296 લોકોના મોત, મોડી રાત્રે આવેલા ભૂકંપથી તબાહી!
મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપને કારણે લગભગ 296 લોકોના દુ:ખદ મોત થયા હતા, આંચકા એટલા જોરદાર હતા કે તેણે મોરોક્કોને હચમચાવી નાખ્યું હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી છે. મોરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે, જ્યારે 153 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.સૂત્રોનું માનીએ તો મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ભૂકંપનું કેન્દ્ર પર્યટન શહેર મારકેશથી 71 કિમી દક્ષિણ-પશ્ચિમમાં 18.5 કિમીની ઊંડાઈએ હતું.
સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 11.11 વાગ્યે અહીં આંચકા અનુભવાયા હતા. થોડા સમય બાદ આ સ્થળોએ ભૂકંપના આફ્ટરશોક પણ અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. મોરોક્કન ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ભૂકંપથી સૌથી વધુ નુકસાન શહેરની બહાર જૂની વસાહતોને થયું છે. ભૂકંપ બાદ લોકો ભયના માર્યા ઘર છોડીને ભાગી ગયા હતા.ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ભૂકંપના કારણે ઐતિહાસિક ઈમારતોને ભારે નુકસાન થયું છે અને વીજળી પણ ઠપ થઈ ગઈ છે.આંચકાના કારણે સાંકડી શેરીઓમાં કાટમાળ વેરવિખેર થઈ ગયો હતો અને લોકોના ઘરનો સામાન છાજલીઓ પરથી પડી ગયો હતો.લોકો ઘરોની બહાર બેઠા હતા, ઢગલા ઇમારતો અને મકાનો નાશ પામ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા પ્રચંડ ભૂકંપ પર દુઃખ વ્યક્ત કર્યું છે. X (અગાઉનું ટ્વિટર) પર શોક વ્યક્ત કરતાં તેણે લખ્યું, ‘મોરોક્કોમાં ભૂકંપને કારણે જાનમાલના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો આ દુઃખદ સમયે મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સાજા થઈ જાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.