એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. વૈભવ ગેહલોતની આવતીકાલ 27 ઓક્ટોબરે પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા EDએ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં (PCC) ચીફ ગોવિંદ સિંહ દોતાસરાના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. કોંગ્રેસે આ દરોડાની કાર્યવાહીને રાજકીય પ્રેરિત ગણાવ્યું છે. પરંતુ ભાજપ ઈડીના આ દરોડાને પેપર લીક કૌભાંડ સાથે જોડી રહ્યું છે..
રાજસ્થાનમાં EDના દરોડાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ, રાજ્સથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર પર વળતો વાક પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં થયેલા કૌભાંડને કારણે EDના દરોડા પાડવામાં આવ્યા છે અને પબ્લિક સર્વિસ કમિશનના પેપર 19 વખત લીક થયા છે. પ્રહલાદ જોશીએ કહ્યું કે, જે લોકોએ પબ્લિક સર્વિસ કમિશનમાં અરજી કરી હતી તેવા 70 લાખથી વધુ લોકોને રાજસ્થાન રાજ્ય સરકારે ઘોર અન્યાય કર્યો છે..
પ્રહલાદ જોશીએ, સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ભાજપ પર ઓબીસીને તક ન આપવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ જણાવવું જોઈએ કે શું જે ઉમેદવારો સાથે અન્યાય થયો છે તેમા કોઈ ઓબીસી નહોતા ? રાજસ્થાન સરકારના અન્યાયોનો ભોગ બનનારાઓમાં ઓબીસી સમુદાયના બાળકો નહોતા? શું કોઈ મહિલા નહોતી? શું અન્યાયનો ભોગ બનનારાઓમાં દલિતો-આદિવાસી નહોતા?..
જયપુરમાં આજે પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ, રાજસ્થાન સરકારના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની કામગીરી ઉપર પણ મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે જો રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તેનું કામ યોગ્ય રીતે કર્યું હોત અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરી હોત, તો આજે EDને કાર્યવાહી કરવાની જરૂર જ ના પડી હોત. ઈડીએ દરોડા ત્યારે પાડ્યા છે જ્યારે રાજસ્થાનના ઓબીસી, દલિત, આદિવાસી, મહિલાઓને ભારોભાર અન્યાય થયો છે. અને તે અન્યાયને અશોક ગેહલોતની સરકાર મૂક પ્રેક્ષકની માફક જોઈ રહી છે..
કેન્દ્રીય મંત્રીપ્રહલાદ જોશીએ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન પેપર લીંક કેસના સમગ્ર મામલે રાજસ્થાનની ગેહલોત સરકારના ઈરાદા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ કેસમાં આરોપીઓને બચાવવાનું કામ કર્યું છે અને તેના કારણે રાજસ્થાન રાજ્યના 70 લાખ ઉમેદવારોને ભારોભાર અન્યાય થયો છે.