મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટીના ત્રણ બાહ્ય સભ્યોમાંના એક અસિમા ગોયલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક ઈંધણના ભાવને ઘટાડવામાં મદદ કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જે રાજ્ય સરકારોએ ક્યારેય ટેક્સમાં ઘટાડો કર્યો નથી તેમણે આવું કરવું જોઈએ. તેલ કંપનીઓએ વધુ પડતો નફો ન કરવો જોઈએ. અમે બજાર સંચાલિત પ્રણાલીમાં છીએ જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં થતા ફેરફારોને સ્થાનિક કિંમતો સાથે જોડવા જોઈએ. જો કે, યુક્રેન યુદ્ધને કારણે સિસ્ટમને હોલ્ડ પર રાખવામાં આવી છે, જે તબક્કાવાર ફરી શરૂ થવી જોઈએ.
છેલ્લા એક વર્ષથી દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો યથાવત છે. ક્રૂડ ઓઈલના ભાવ, જે ગયા વર્ષે જૂનમાં સરેરાશ 116 ડોલર પ્રતિ બેરલ હતા, તે આ વર્ષે જૂનમાં ઘટીને 75 ડોલર થઈ ગયા હતા અને હવે તે 86 ડોલરને સ્પર્શી ગયા છે. છૂટક ફુગાવામાં, ઇંધણ અને પાવર કેટેગરીમાં ફુગાવો જુલાઈમાં સતત બીજા મહિને 4 ટકાથી નીચે ગયો હતો.
મે 2022માં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 અને 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. નવેમ્બર 2021માં પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આબકારી જકાતની વસૂલાત કેન્દ્રની આવકનો મોટો હિસ્સો બનાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રને એક્સાઇઝ ડ્યુટીમાંથી રૂ. 3.39 લાખ કરોડની આવક થવાની ધારણા છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 3.19 લાખ કરોડ હતી.