કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કથિત ‘અનૈતિક વર્તન’ બદલ લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ નેતાનું સસ્પેન્શન ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રહલાદ જોશી દ્વારા દાખલ કરાયેલા પ્રસ્તાવના જવાબમાં કરવામાં આવ્યું હતું. જેનો ગુરુવારે સંસદમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ આ બાબતે પોતાનો અહેવાલ રજૂ નહીં કરે ત્યાં સુધી તેઓ સસ્પેન્ડ રહેશે.
પ્રસ્તાવમાં, પ્રહલાદ જોશીએ ચૌધરી પર સંસદની કાર્યવાહીને સતત વિક્ષેપિત કરવાનો અને દેશ અને તેની છબીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. પ્રહલાદ જોષીએ કહ્યું, આ તેમની આદત બની ગઈ છે. વારંવારની ચેતવણી બાદ પણ તેણે પોતાની જાતને સુધારી ન હતી. તે હંમેશા પોતાની ચર્ચામાં પાયાવિહોણા આરોપો લગાવે છે. તે દેશ અને તેની છબીને બદનામ કરે છે અને ક્યારેય માફી માંગતો નથી.
જોશીએ હાઇલાઇટ કર્યું હતું કે બુધવારે જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભામાં બોલતા હતા ત્યારે ચૌધરીએ આવું જ વર્તન કર્યું હતું. જોશીએ પછી અધિરનો કેસ વિશેષાધિકાર સમિતિને મોકલવાની દરખાસ્ત દાખલ કરી અને માંગણી કરી કે જ્યાં સુધી સમિતિ તેનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી કોંગ્રેસ નેતાને સસ્પેન્ડ કરવામાં આવે. આ પ્રસ્તાવને સંસદે સ્વીકારી લીધો હતો.
તેમના સસ્પેન્શન પર પ્રતિક્રિયા આપતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેમનો કોઈનું અપમાન કરવાનો ઈરાદો નથી અને જો તેમની સાથે કોઈ અન્યાય થયો હોય તો તેઓ કોઈપણ સજા સ્વીકારવા તૈયાર છે.