મુંબઈઃ એક રેટિંગ એજન્સીના રિપોર્ટ અનુસાર, જંગી ટેક્સ કલેક્શન હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષના અંતે દેશની રાજકોષીય ખાધ બજેટ અંદાજના 6 ટકા થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે રાજકોષીય ખાધ 5.90 ટકા રહેવાનો અંદાજ હતો.
એજન્સીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોજગાર ગેરંટી યોજના પર વધુ ખર્ચ અને ખાદ્યપદાર્થો સહિત કેટલીક સબસિડીના કારણે ખાધ વધશે.
પોષક તત્વો આધારિત ખાતરો માટે સબસિડી હેઠળ રૂ. 44,000 કરોડની બજેટ જોગવાઈ સામે આ ખર્ચ વધીને રૂ. 57,360 કરોડ થવાની ધારણા છે. બજેટમાં આપવામાં આવેલી રકમ ઓક્ટોબરના અંતમાં જ ખતમ થઈ ગઈ છે.
આ ઉપરાંત, રોજગાર માટે મનરેગા યોજના હેઠળ રૂ. 60,000 કરોડની જોગવાઈ સામે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 79,770 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કર દ્વારા આવક જે 11.70 ટકા વધીને રૂ. 23.30 લાખ કરોડ થવાનો અંદાજ હતો, તે હવે સરકાર દ્વારા 17.20 ટકા વધીને રૂ. 24.50 લાખ કરોડ થવાની ધારણા છે.
ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા આવક બજેટ અંદાજ કરતાં ઓછી જોવા મળે છે, પરંતુ જો કર દ્વારા આવક અપેક્ષા કરતાં વધુ હોય તો ડિસઇન્વેસ્ટમેન્ટની અછતની ભરપાઈ થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર સુધી રૂ. 51,000 કરોડના લક્ષ્યાંક સામે, સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી માત્ર રૂ. 8,000 કરોડ એકત્ર કરી શકી છે.