નવી દિલ્હી: 30 જાન્યુઆરી (A) 14 સસ્પેન્ડેડ વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે અને હવે તેઓ બુધવારથી શરૂ થતા બજેટ સત્રમાં ભાગ લઈ શકશે. સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી.
શિયાળુ સત્ર દરમિયાન તેમને સસ્પેન્ડ કરવાની સાથે તેમનો કેસ વિશેષાધિકાર સમિતિઓને મોકલવામાં આવ્યો હતો.વિપક્ષના જે સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે તેમાં 11 રાજ્યસભાના અને ત્રણ લોકસભાના છે.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે 11 વિપક્ષી સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો, તેમ છતાં ગૃહની વિશેષાધિકાર સમિતિએ તેમને વિશેષાધિકારના ભંગ અને ગૃહની અવમાનના માટે દોષિત ઠેરવ્યા હતા.
જે રાજ્યસભાના સભ્યોનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે તેમાં જેબી માથેર હિશામ, એલ હનુમંતૈયા, નીરજ ડાંગી, રાજમણિ પટેલ, કુમાર કેતકર, જીસી ચંદ્રશેખર, વિનય વિશ્વમ, સંતોષ કુમાર પી, એમ મોહમ્મદ અબ્દુલ્લા, જોન બ્રિટાસ અને એએ રહીમનો સમાવેશ થાય છે.
સૂત્રોનું કહેવું છે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ત્રણ સભ્યો અબ્દુલ ખાલિક, કે. જયકુમાર અને વિજય વસંતનું સસ્પેન્શન રદ. ત્રણેય કોંગ્રેસના સભ્યો છે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું હતું કે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આ સાંસદોને લઈને સરકારની વિનંતી પર સહમતિ દર્શાવી છે.
બંને ગૃહોમાં કુલ 146 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં 100 લોકસભા અને 46 રાજ્યસભા સભ્યોનો સમાવેશ થાય છે. તેમાંથી 132 સાંસદોનું સસ્પેન્શન શિયાળુ સત્ર માટે હતું, પરંતુ 14 સાંસદોના મામલા બંને ગૃહોની વિશેષાધિકાર સમિતિઓને મોકલવામાં આવ્યા હતા.
લોકસભા અને રાજ્યસભાએ મળીને 21 ડિસેમ્બરે પૂરા થયેલા શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે 132 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા અને આ 14 સાંસદોના કેસને સંબંધિત વિશેષાધિકાર સમિતિને મોકલ્યા હતા.
બજેટ સત્ર બુધવારથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે.