શનિવારે યોજાયેલી એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નૈમિષારણ્ય ધામ અને નજીકના પ્રવાસન સ્થળોના નવીનીકરણ/રિનોવેશન અને બ્યુટિફિકેશન સંબંધિત ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી. સીએમ યોગીએ નૈમિષારણ્યમાં વેદ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા, દરેક પ્રોજેક્ટ માટે સમય મર્યાદા નક્કી કરી.
સમીક્ષા બેઠકમાં સીએમ યોગીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે તાજેતરમાં 88 હજાર ઋષિઓના પવિત્ર ધામ નૈમિષારણ્યના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે શ્રી નૈમિષારણ્ય ધામ તીર્થ વિકાસ પરિષદની રચના કરી છે. આ તે સ્થાન છે જ્યાં આપણા ઋષિઓએ શાશ્વત જ્ઞાનની નોંધ કરવાનું અનોખું કાર્ય કર્યું હતું. રાજ્ય સરકાર અહીં ધાર્મિક પ્રવાસન વિકાસની તમામ શક્યતાઓને પ્રોત્સાહિત કરી રહી છે. અહીં કાર્યરત દરેક પ્રોજેક્ટ ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ થવો જોઈએ.
સીએમ યોગીએ કહ્યું કે સનાતન આસ્થાને માન આપવા અને વૈદિક જ્ઞાનને પ્રોત્સાહિત કરવાના હેતુથી સીતાપુર જિલ્લામાં સ્થિત પવિત્ર નૈમિષારણ્ય ધામમાં વહેલી તકે વેદ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવી જોઈએ. આ અંગે બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. વેદ વિજ્ઞાન અધ્યયન કેન્દ્રની સ્થાપનાથી વેદ અને પુરાણોમાં સચવાયેલા જ્ઞાનને સામાન્ય લોકો સુધી લઈ જવા માટે અભ્યાસનું કાર્ય થઈ શકે છે.
આ અંગે સૂચના આપતા તેમણે જણાવ્યું હતું કે, વેદ વિજ્ઞાન કેન્દ્રમાં વહીવટી ભવન, શૈક્ષણિક ભવન, ગુરુકુળ, યોગશાળા, યજ્ઞશાળા, મંદિર વગેરેનું નિર્માણ કરવામાં આવે. ખગોળશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે અહીં એક વેધશાળાની પણ સ્થાપના કરવી જોઈએ. વેદ વિજ્ઞાન કેન્દ્રની ડિઝાઇનથી લઈને કામગીરી સુધીની દરેક પ્રક્રિયામાં વિષય નિષ્ણાતોને જોડો.
સીએમ યોગીએ કહ્યું કે સિદૌલીમાં સ્થિત મા લલિતા દેવી મંદિર સનાતન આસ્થાનું એક મહાન કેન્દ્ર છે. આખું વર્ષ અહીં ભક્તો આવતા રહે છે. પ્રવાસીઓ/ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં વિંધ્યવાસિની ધામ જેવો કોરિડોર બનાવવો જરૂરી છે. આ અંગે જરૂરી દરખાસ્ત તૈયાર કરો. મા લલિતા દેવી મંદિરના ભવ્ય પ્રવેશદ્વાર અને પંચમુખી પ્લાઝાનું બાંધકામ ઝડપથી પૂર્ણ થવુ જોઈએ.