શિયાળુ વાવેતરની મોસમ તેના મધ્યબિંદુમાંથી પસાર થઈ ગઈ હોવા છતાં, વાવેતરની ગતિ પકડી રહી નથી. સોમવાર સુધીમાં ગુજરાતમાં 20.22 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ વાવેતર નોંધાયું હતું. જે ગત સિઝનના સમાન સમયગાળામાં જોવા મળેલા 25.19 લાખ હેક્ટરની સરખામણીએ 4.97 લાખ હેક્ટરનો ઘટાડો દર્શાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં શિયાળુ વાવણી 44.75 લાખ હેક્ટરમાં નોંધાઈ છે. આવી સ્થિતિમાં, વર્તમાન સિઝનમાં તેમાંથી 50 ટકા પણ વાવેતર શક્ય નથી. રાજ્યમાં શિયાળુ વાવણી ડિસેમ્બરના અંત સુધી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં વાવેતરને હજુ એક મહિનો બાકી છે. જો કે, ઘઉં અને ચણા જેવા પાકોની વાવણી ડિસેમ્બરના મધ્ય સુધીમાં પૂર્ણ થાય છે.
રાજ્યના સૌથી મોટા રવિ પાક ઘઉંની વાત કરીએ તો, તેનું વાવેતર અત્યાર સુધીમાં માત્ર 3.95 લાખ હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે. જે ગત સિઝનના સમાન સમયગાળામાં 5.76 લાખ હેક્ટરમાં શક્ય બન્યું હતું. છેલ્લી ત્રણ સિઝનમાં રાજ્યમાં સરેરાશ 13.39 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. જો ખેતીમાં બીજા ક્રમે આવતા ચણાની વાત કરીએ તો 3.14 લાખ હેક્ટરમાં વાવેતર શક્ય બન્યું છે. જે ગત સિઝનના સમાન સમયગાળામાં 4.65 લાખ હેક્ટરમાં થયું હતું. આમ, ચણાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 7.75 લાખ હેક્ટરના સરેરાશ વાવેતર સામે ચણાનું વાવેતર માત્ર 41 ટકા વિસ્તારમાં જ જોવા મળે છે. મસાલા પાકોની વાત કરીએ તો જીરુંનું વાવેતર 2.45 લાખ હેક્ટરમાં પૂર્ણ થયું છે. જે ગત સિઝનના સમાન સમયગાળામાં જોવા મળેલા 1.13 લાખ હેક્ટરની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. જ્યારે છેલ્લી ત્રણ સિઝનની સરેરાશ 4.21 લાખ હેક્ટર છે, જ્યારે 58 ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જીરાના ઊંચા ભાવને કારણે ખેડૂતો મસાલા પાક તરફ વળે તેવી શક્યતા છે. વર્તમાન સિઝનમાં એવરેજથી ઉપર દેખાવા ઉપરાંત નવો રેકોર્ડ પણ બનાવી શકે છે. શિયાળુ વાવેતરને હવે તાજેતરના વરસાદથી ફાયદો થઈ શકે છે. વરિયાળીનું વાવેતર પણ ગત સિઝનમાં 28 હજાર હેક્ટરની સરખામણીએ ચાલુ સિઝનમાં 69 હજાર હેક્ટરમાં પૂર્ણ થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 41 હજાર હેક્ટર વાવેતરની સરખામણીમાં 69 ટકાનો વધારો દર્શાવે છે.
કેટલાક પરચુરણ પાકોની વાત કરીએ તો ગત સિઝનમાં 42 હજાર હેક્ટરની સરખામણીએ 29 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર જોવા મળ્યું છે. જ્યારે ગત સિઝનમાં 93 હજાર હેક્ટરની સરખામણીએ ચાલુ સિઝનમાં 74 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર નોંધાયું છે. શાકભાજીના પાકનું પણ ગત સિઝનમાં 92 હજાર હેક્ટરની સરખામણીએ માત્ર 69 હજાર હેક્ટરમાં જ વાવેતર થયું છે. જ્યારે ગત સિઝનમાં 3.1 લાખ હેક્ટરની સરખામણીએ 2.67 લાખ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. છેલ્લા ચોમાસામાં વરસાદના અભાવે જમીનમાં ભેજનો અભાવ રવિ વાવણીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે. જેણે ખેડૂતોને શિયાળુ વાવણીથી દૂર રાખ્યા છે.