શેરબજારમાં: સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં ફરી એકવાર કડાકો જોવા મળ્યો. આજે સવારે થોડાક ઉછાળા સાથે ખુલ્યા બાદ અચાનક જ તેમાં ઘટાડો શરૂ થયો હતો. આજે સેન્સેક્સ 1000 પોઈન્ટ અને નિફ્ટી 350 પોઈન્ટ તૂટ્યો હતો. બપોરે 2:30 વાગ્યે સેન્સેક્સ 1046 પોઈન્ટ અથવા 1.42 ટકા ઘટીને 72621 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 1.74 ટકા અથવા 388 પોઈન્ટ ઘટીને 21,947 પર ટ્રેડ કરી રહ્યો હતો.
નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1730 પોઈન્ટ અથવા 3.61 ટકા ઘટ્યો હતો. તેમજ નિફ્ટીનો સ્મોલ કેપ ઈન્ડેક્સ 676 પોઈન્ટ એટલે કે 4.50 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. તીવ્ર ઘટાડાથી બજારનું સેન્ટિમેન્ટ બદલાયું અને અગ્રણી શેરોમાં ભારે વેચવાલી થઈ.
બજાર કેમ ઘટ્યું?
તાજેતરમાં સેબીના વડાએ મિડકેપ અને સ્મોલકેપ શેર્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સેબી આના પર ચાંપતી નજર રાખી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં હેરાફેરીના સંકેતો છે. આટલું જ નહીં, SMI IPOમાં પણ છેતરપિંડીના સંકેતો છે. સેબીના વડાએ રોકાણકારોને સાવચેત રહેવા જણાવ્યું છે. સેબીના આ નિવેદન બાદ બજારનું સેન્ટિમેન્ટ બદલાયું, જેના કારણે આજે બજારમાં ભારે વેચવાલી જોવા મળી. સ્મોલકેપ અને મિડકેપ સૂચકાંકોની સાથે અન્ય સૂચકાંકોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.
અંદાજિત રૂ. 13 લાખ કરોડ સ્વાહા
બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાથી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 12.67 લાખ કરોડ ઘટીને રૂ. 372 લાખ કરોડ થયું હતું. એટલે કે થોડા જ કલાકોમાં રોકાણકારોને અંદાજે 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.