નવી દિલ્હી
ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)નો કેપ્ટન શ્રેયસ અય્યર હવે લગભગ ત્રણ મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. લંડનમાં શ્રેયસ અય્યરની પીઠની સર્જરી સફળ રહી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વાસ્તવમાં, ઐયરને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે, જ્યારે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી રમવાની છે. ICC વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર છે. માનવામાં આવે છે કે તે પહેલા અય્યર ટીમ ઈન્ડિયામાં પરત ફરશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ મંગળવારે લંડનમાં અય્યરની સર્જરી થઈ હતી. 28 વર્ષીય શ્રેયસ અય્યરે પીઠની ઈજામાંથી સાજા થયા બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પુનરાગમન કર્યું હતું, પરંતુ તેની ઈજા ફરી સામે આવી હતી, ત્યારબાદ ડૉક્ટરોએ તેને સર્જરી કરાવવાની સલાહ આપી હતી. અય્યર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની માત્ર એક જ મેચ રમી શક્યો હતો. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે અય્યર હવે આ સર્જરી કરાવશે નહીં, જેથી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત માટે રમી શકે.
જો કે, એવું ન થયું અને આખરે તેણે આ સર્જરી કરાવવી પડી. અય્યરે મિડલ ઓર્ડરમાં મજબૂત બેટિંગ કરી છે અને તે ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ બની ગયો છે. IPLની વાત કરીએ તો તેમની ગેરહાજરીમાં નીતીશ રાણા KKRની કમાન સંભાળી રહ્યા છે.