નકલી સિમ કાર્ડ દ્વારા છેતરપિંડી રોકવા માટે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નિયમોમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ અને જેલની સજા થઈ શકે છે. આ નિયમો 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવવાના હતા. જોકે, સરકારે સમયમર્યાદા બે મહિના લંબાવી હતી. આ મુજબ નવા નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા જારી કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, સિમ કાર્ડ વેચનાર વ્યક્તિ અને સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિએ ક્યુસીમાંથી પસાર થવું ફરજિયાત છે. કોઈ પણ વ્યક્તિ એક સાથે બે સિમ કાર્ડ ખરીદી શકશે નહીં. એટલું જ નહીં, એક આઈડી એટલે કે એક દસ્તાવેજ પર મર્યાદિત સંખ્યામાં સિમ કાર્ડ ખરીદી શકાય છે. આ સિવાય તમામ SiCard વેન્ડરોએ 30 નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ તમામ નિયમોનું ઉલ્લંઘન કરવા પર સંબંધિત વ્યક્તિ પર 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સાથે જેલ પણ થઈ શકે છે.
વધુ મહત્ત્વની વાત એ છે કે, કેટલાક સિમ કાર્ડ વિક્રેતાઓ ખોટી રીતે વેરિફિકેશન કરી રહ્યાં છે. જેના કારણે છેતરપિંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આવી ઘટનાઓને રોકવા માટે સરકારે પગલાં લીધાં છે. તેમજ જો કોઈ વ્યક્તિ નકલી સિમ કાર્ડ વેચતા કે ખરીદતા પકડાય છે તો તેને 3 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. સરકારે ચેતવણી પણ આપી છે કે તેમનું લાઇસન્સ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ભારતમાં હાલમાં 10 લાખ સિમ વેન્ડર છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “સરકારે સાયબર ક્રાઈમ અને છેતરપિંડી અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સિમ કાર્ડ અંગે નવા નિયમો જારી કર્યા છે. લગભગ 52 લાખ કનેક્શન બ્લોક કરવામાં આવ્યા છે. આ સિવાય સરકારે 67 હજાર લોકોને સિમ કાર્ડ મેળવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કાર્ડ વેચવા પર પ્રતિબંધ છે.”