નવી દિલ્હી,
દેશની સર્વોચ અદાલત, સુપ્રીમ કોર્ટ દ્વારા લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) નક્કી કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા વૈકલ્પિક પાક માટે એમએસપી નક્કી કરવા અને સમયાંતરે તેને વધારવાની માંગ કરવામાં આવી છે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેંચે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા રાજ્યો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કૃષિ યુનિવર્સિટીઓ અને ICARને નોટિસ પાઠવીને તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું છે. બેન્ચે હવે આ કેસને જુલાઈના બીજા સપ્તાહમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વકીલ ચરણપાલ સિંહ બાગરીની અરજીમાં ડાંગરના MSP કરતા “વૈકલ્પિક પાક” માટે લઘુત્તમ ટેકાના ભાવ વધુ નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું, પંજાબ, હરિયાણાના ખેડૂતો ઘઉં અને ડાંગરનો પાક ઉગાડવામાં લાચાર છે. તેના પર MSP અને સરકાર દ્વારા પ્રાપ્તિ હોવા છતાં, ડાંગરના પાકને ઉગાડવામાં ઘણા અવરોધો આવ્યા છે. ભૂગર્ભ પીવાલાયક પાણીનો ઝડપી અવક્ષય, પ્રદૂષણને કારણે હવામાનમાં વારંવાર થતા ફેરફારોને કારણે ખેતી કરવી મુશ્કેલ બની છે તેથી ખેડૂતોને દરેક પાકની MSP નક્કી કરીને ભૌગોલિક સ્થિતિ અને જમીનની ગુણવત્તા અનુસાર નવા પાક ઉગાડવાની સુવિધા આપવી જોઈએ.