મુંબઈઃ ભારતીય હવામાન વિભાગની એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં દેશના મોટા ભાગના ભાગોમાં ઊંચા તાપમાન અને હીટ વેવની ચેતવણીએ દેશના સામાન્ય લોકોની તેમ જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ચિંતામાં વધારો કર્યો છે. દેશમાં ખરીફની વાવણી જૂનથી શરૂ થતી હોવાથી ખરીફ અનાજ પર ગરમીની અસરને નકારી શકાય તેમ નથી.
હવામાન વિભાગનો અંદાજ છે કે એપ્રિલથી જૂન દરમિયાન દેશમાં તાપમાન સામાન્ય કરતા વધુ ગરમ રહેશે.
મોંઘવારી ઘટાડવા રિઝર્વ બેન્કના પગલાંને ગરમીની અસર પડી શકે છે અને શાકભાજીના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે. એક વિશ્લેષકે જણાવ્યું હતું કે એવી ધારણા હતી કે રિઝર્વ બેન્ક જૂનથી વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે પરંતુ હવે તે લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે.
હવે આપણે ઓગસ્ટ અથવા ઓક્ટોબરની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો જોઈ શકીએ છીએ. જો કે, તે ખરીફ વાવણીની કામગીરી અને ચોમાસાની સ્થિતિ પર પણ નિર્ભર રહેશે.
ચાલુ નાણાકીય વર્ષ માટે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની પ્રથમ બેઠક આવતીકાલથી શરૂ થઈ રહી છે અને સમિતિ 5 એપ્રિલે તેનો નિર્ણય જાહેર કરશે.
દેશમાં છૂટક ફુગાવાનો દર છેલ્લા ઘણા મહિનાઓથી સતત ચાર ટકાના રિઝર્વ બેન્કના લક્ષ્યાંક કરતાં વધુ રહ્યો છે. ઊંચી ફુગાવાના કારણે રિઝર્વ બેંકે છેલ્લી છ બેઠકોમાં રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો છે. આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો શરૂ કરે તે પહેલા ફુગાવાને ચાર ટકાની નજીક લાવવા માંગે છે. શાકભાજી અને અનાજના પાકને કોઈપણ નુકસાન ગ્રામીણ માંગને અસર કરી શકે છે.
કોફી, પામ ઓઈલ, ખાંડ જેવી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષમાં ખાંડના ભાવમાં વાર્ષિક ધોરણે દસ ટકાનો વધારો થયો છે.