ગુજરાત પોલીસની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ–સુરક્ષા અને સલામતીમાં અગ્રેસરતા સાથે ગુજરાત દેશનાવિકાસનું રોલ મોડલ બની શક્યું છે:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના ૧૧૮ અધિકારીઓ-કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા.
ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના આ ગૌરવશાળી સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મેડલ્સ મેળવનાર સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે,સમગ્ર પોલીસ દળની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ,સલામતી અને સુરક્ષા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની શક્યું છે.

તેમણે ચંદ્રક મેળવનારા પોલીસ કર્મીઓના પરિવારજનોને વિશેષ અભિનંદન આપતા કહ્યું કે,પોલીસની કપરી ફરજો બજાવવા માટે પરિવારનો સહયોગ,સહકાર પણ એટલો જ જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે,પોલીસ એટલે પ્રજાનો રક્ષક અને જાન-માલનો પહેરેદાર એ સહજ ભાવ સમાજમાં વણાઈ ગયો છે. લોકોમાં પોલીસ પ્રત્યે ભરોસો અને અપાર વિશ્વાસ છે.
સમાજને રંજાડનારા તત્વો,ગુનાહિત માનસિકતા વાળા લોકોને પોલીસનો ડર રહે અને ખોટું કરે જ નહીં તેવો રૂઆબ અને રૂતબો પોલીસ વરદીનો હોય તેમ મુખ્યમંત્રીશ્રીએ પોલીસ દળને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.

તેમણે પોલીસ અધિકારી-કર્મચારીને ફરજો અને સમાજ પ્રત્યેની સુરક્ષા સેવા ભાવનાની કદરરૂપે મળતું મેડલ સન્માન એ સમગ્ર પોલીસ બેડા માટે ગૌરવ ઘટના ગણાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ બેડામાં તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળે તેવા આધુનિક અને સ્માર્ટ પોલિસીંગનો વિચાર આપ્યો છે.

