2000 ની નોટોને બંધ કરવાના મોટા નિર્ણય પછી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે નાણાકીય નીતિના નિર્ણયો જારી કર્યા અને વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી. આ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું કે 500 રૂપિયાની નોટ પાછી ખેંચવાની કોઈ યોજના નથી.
તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એ પણ જણાવ્યું કે 23 મેથી અત્યાર સુધી એટલે કે છેલ્લા 16 દિવસમાં બેંકોમાં 2000 રૂપિયાની કેટલી નોટો જમા થઈ છે.
શક્તિકાંત દાસે કહ્યું, ’31 માર્ચ, 2023 સુધી 2000ની 3.62 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. RBIએ 23 મેના રોજ આ નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધીમાં 1.8 લાખ કરોડ રૂપિયાની 2,000 નોટો બેંકોમાં પાછી આવી છે. સરળ શબ્દોમાં કહીએ તો 2000 રૂપિયાની 50 ટકા નોટો બેંકોમાં જમા થઈ ગઈ છે.
આ દરમિયાન આરબીઆઈ ગવર્નરે વધુ એક રસપ્રદ આંકડો આપ્યો. “બેંકોમાં રૂ. 2,000 ની નોટોના રૂપમાં જે રકમ આવી છે, તેમાંથી 85 ટકા નોટો ખાતામાં જમા કરવામાં આવી છે, જ્યારે માત્ર 15 ટકા નોટો અન્ય ચલણી નોટો માટે બદલાઈ છે,” તેમણે કહ્યું.
તમને જણાવી દઈએ કે ગયા મહિને 19 મેના રોજ આરબીઆઈ દ્વારા એક નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં રહેશે નહીં. જો કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આ સાથે RBIએ તેની ગાઈડલાઈન્સમાં કહ્યું છે કે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધી લોકો નજીકની બેંકોમાં તેમની 2000 રૂપિયાની નોટ બદલી શકશે.
RBIએ કહ્યું કે એક સમયે 2000 રૂપિયાની મહત્તમ 10 નોટો એટલે કે 20 હજાર રૂપિયાની નોટ બદલી શકાય છે અને નોટ બદલવા માટે કોઈ આઈડી પ્રૂફ બતાવવાની કે ફોર્મ ભરવાની જરૂર નથી. બેંકો નોટ બદલવા માટે કોઈ ફી વસૂલશે નહીં. RBI ગવર્નરે કહ્યું કે ક્લીન નોટ પોલિસી હેઠળ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવામાં આવી રહી છે.