યસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા કરદાતાના બેન્ક ખાતામાં રૂ.૧૧.૮૬ અને ૮ કરોડ જમા કરાયા હતા-ખાતું પોતાનું નહીં હોવાનું યુવકે જણાવ્યું હતું.
નડિયાદ, ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં વડાબજાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને રમકડાનો ધંધો કરતા નાના વેપારીને ઈન્કમટેકસે રૂ.૧૯ કરોડથી વધુની નોટિસ ફટકારતા ચકચાર મચી છે. જે યસ બેન્કના ખાતાની લેવડ-દેવડને લઈને નોટિસ અપાઈ છે તે ખાતું પોતાનું નહીં હોવાનું યુવકે જણાવ્યું હતું.
માંડ ગુજરાન ચલાવતા આ ગરીબ ફેરિયા ચિરાગભાઈ જગદીશભાઈ ભૈયાના બેન્ક ખાતામાં ૧૯ કરોડ ઉપરાંતનો અસ્પષ્ટ નાણાંકીય વ્યવહાર થયો હોવાનું ઈન્કમટેકસ વિભાગના ધ્યાનમાં આવ્યું છે જેથી ઈન્કમટેકસ વિભાગે નોટિસ આપી છે કે યસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા કરદાતાના બેન્ક ખાતામાં રૂ.૧૧.૮૬ અને ૮ કરોડ જમા કરાયા હતા.
આ ક્રેડિટ્સ એડિકા સોફટવેર, રિલોકેશન સોફટવેર અને ટેલેન્ટબીટ પ્રા.લિ. સોફટવેર તરફથી પ્રાપ્ત થયા છે. વધુમાં એ નોંધવામાં આવ્યું છે કે, વાય ર૦રર-ર૩ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું ન હતું. પરિણામે આ નાણાંકીય વ્યવહાર અસ્પષ્ટ રહે છે. માટે સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ સાથે યસ બેન્કના ખાતામાં કુલ રૂ.૧૧.૮૬ કરોડ બેન્ક ક્રેડિટસ જમા કરવાની સૂચના અપાઈ છે.

