ખાડી દેશો અને યુરોપિયન શક્તિઓ એક થતા અત્યારે ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છે.
અમદાવાદ, ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ભીષણ જંગની સીધી અસર હવે ગુજરાતના આકાશમાં પણ જોવા મળી રહી છે. ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ આવતી-જતી ૨૯થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા છે. ઈરાને ઈઝરાયેલ અને ખાડી દેશો પર મિસાઈલમારો શરૂ કરતા કતાર, કુવૈત, બહેરીન અને UAEએ સુરક્ષાના કારણોસર પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) તાત્કાલિક અસરથી બંધ કરી દીધા છે.
જેના કારણે અમદાવાદથી નીચે મુજબના શહેરોની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. રદ થયેલી ફ્લાઈટ્સમાં કુવૈત, દોહા, દુબઈ, બગદાદ, શારજાહ, અબુ ધાબી અને જેદ્દાહની હવાઈ સેવાનો સમાવેશ થાય છે. અમદાવાદ આવતી ૧૫ ફ્લાઈટ્સ અને અહીંથી રવાના થતી ૧૪ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવતા એશિયા અને યુરોપ વચ્ચેનો હવાઈ સંપર્ક કપાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા ભીષણ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનું મૃત્યુ થયું છે.
આ ઘટનાના વળતા પ્રહારમાં ઈરાને ઈઝરાયેલ અને મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલોનો વરસાદ કર્યો છે. ઈરાન વિરુદ્ધ હવે પશ્ચિમી દેશો પણ એકઠા થયા છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ સંયુક્ત નિવેદન જારી કરીને ઈરાન સામે યુદ્ધની ઘોષણા કરી દીધી છે.

ખાડી દેશો અને યુરોપિયન શક્તિઓ એક થતા અત્યારે ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું હોય તેવું જણાય છે. અમદાવાદ એરપોર્ટ પર સેંકડો મુસાફરો ફ્લાઈટના અપડેટ્સ માટે કલાકોથી રાહ જોઈ રહ્યા છે. એરલાઈન્સ કંપનીઓ દ્વારા રિફંડ અને રિ-શેડ્યુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ અનિશ્ચિતતાને કારણે મુસાફરોમાં ચિંતાનો માહોલ છે.

