ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
શિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે-ચાલુ વર્ષથી અમલ
Øમાત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે – એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવ
Øવિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે
Øશિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશે
Øમાર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન,કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશે
Øગુજરાતની આ પહેલ“જેવું શિક્ષણ,તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત
શિક્ષણમાં ગુણવત્તા વધારવા,શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું- શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૩૬૦°સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યની ધો. ૧ થી ૮ તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સોંપ્યો હતો. તેને આધારે હવે રાજ્યમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો ચાલુ વર્ષથી અમલ થશે. આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન,કૌશલ્ય,મૂલ્યો,વર્તન,સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવશે.
આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં,પરંતુ બોધાત્મક (Cognitive),ભાવનાત્મક (Affective)અને મનોગામિક (Psychomotor)ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસનું મુલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક,સહપાઠી,વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPCતૈયાર કરાશે,જે માત્ર પરિણામ નહીં,પણ વિદ્યાર્થીની પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.
નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે એટલે કે,માત્ર પરીક્ષાની તૈયારી નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યને વિકસાવવાનું પ્રોત્સાહન. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં જવાબદારી,સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ વિકસશે.

