5 એપ્રિલ; રાષ્ટ્રીય દરિયાઈ દિવસ – નેશનલ મેરીટાઇમ ડે ની ઉજવણી અંતર્ગત ભારત સરકારના બંદરો, શિપિંગ અને જલમાર્ગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા, અદાણી પોર્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા ગુજરાતની સમુદ્રી પ્રશિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓએ આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ‘મર્ચન્ટ નેવી ડે’ ના લઘુધ્વજની પીન અર્પણ કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નેશનલ મેરીટાઇમ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતના આર્થિક વિકાસમાં સમુદ્રી વ્યાપારના યોગદાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
ભારતમાં પ્રતિ વર્ષ 30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન રાષ્ટ્રીય સમુદ્રી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ભારતની સૌપ્રથમ સ્વદેશી સ્ટીમશીપ ‘એસ.એસ. લૉયલ્ટી’ એ વર્ષ-1919 ની તા.5 મી એપ્રિલે મુંબઈથી લંડન સુધીની સૌપ્રથમ સફરની શરૂઆત કરી હતી. ભારતીય દરિયાઈ ઇતિહાસની આ ગૌરવશાળી ઘટનાની સ્મૃતિમાં 5 મી એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સામુદ્રિક ક્ષેત્રના વિકાસ અને દરિયાઈ સુરક્ષા સુદ્રઢ કરવાના ઉદ્દેશ્ય સાથે નેશનલ મેરીટાઈમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુ’દ્રઢ શિપિંગ : સંભાવનાઓ અને સમસ્યાઓ’ થીમ સાથે સમુદ્રી વાણિજ્ય વિભાગ, કંડલા, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, અદાણી પોર્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા ગુજરાતની સમુદ્રી પ્રશિક્ષણ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે નેશનલ મેરીટાઈમ દિવસની ઉજવણી થઈ રહી છે.