સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત
અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL)ના અંદાજિત રૂ.૨૪૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી
વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છેઃ સૌ શહેરીજનો સ્વચ્છતાને સ્વભાવ બનાવે:- મુખ્યમંત્રીશ્રી
રાજ્યોના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને સુડા(સુરત શહેરી વિકાસ સત્તામંડળ)ના કુલ રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત,મુખ્યમંત્રીશ્રીએ અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.(URDCL)દ્વારા સાકારિત થનારા અંદાજિત રૂ.૨૪૨ કરોડના વિવિધ પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત કર્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સુરતવાસીઓને રૂ.૬૦૦ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત સુરત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતામાં ડંકો વાગાડ્યો છે ત્યારે સૌ લોકોને સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટેની તેમણે હિમાયત કરી હતી.
સુરતનો આઉટ ડોર રીંગરોડ પુર્ણ થવાથી ટ્રાફિકમાં ધટાડાની સાથે લોકોની સુવિધાઓમાં વધારો થશે. આજે દરેકક્ષેત્રે નાના માણસને કેન્દ્રમાં રાખીને વિકાસ આગળ વધી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે,એક સમયે એક લાખનું કામ કરવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો આજે એક કરોડના કાર્યો સરળતાથી થઈ રહ્યા છે.
ગ્લોબલ વોર્મિગના કારણે વરસાદની પેટન્ટ બદલાઈ છે ત્યારે એક પેડ માં કે નામ હેઠળ સૌને વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન કવરમાં વધારો કરવાનો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો. વરસાદના પાણીનો પુર્ણ ઉપયોગ કરીને જળસંચયમાં સૌની સહભાગીદારીની અપેક્ષા પણ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,વડાપ્રધાનશ્રીના વિઝનને કારણે આજે કચ્છ બેસ્ટ ટુરિઝમ સ્પોટ બન્યું છે. એશિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક ખાવડા ખાતે સાકાર થયો છે. ઈઝ ઓફ લિવિંગ કેવી રીતે વધે તે માટેના પ્રયાસો અમારી સરકાર કરી રહી છે. એક સમયે રાજયના દરિયાકિનારા પ્રત્યે ઉદાસીનતા સેવાતી હતી આજે ગુજરાતનો દરિયા કિનારો સમૃદ્ધિનો ગેટવે બન્યો છે.
સુરત જિલ્લા પ્રભારી અને નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૨૫-૨૬ માં રાજયના શહેરી વિસ્તારોના વિકાસ માટે રાજય સરકારે ૩૦ હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. નવી મહાનગરપાલિકાઓના વિકાસ માટે પણ રાજય સરકાર કટિબદ્વ છે. મહાનગરપાલિકાની નવરચના સાથે જ બજેટ ઉપલબ્ધ કરાવાયું છે.
ગુજરાતમાં શહેરીકરણ ખુબ જ ઝડપથી થઇ રહયું છે. જેને અનુલક્ષીને માળખાકીય સવલતો અને વ્યવસ્થાનું આગોતરું આયોજન થયું છે. ભરૂચ અને ઉમરગામ વચ્ચે સુરત વિકાસનું કેન્દ્ર બિંદુ છે. જેથી વિવિધ ક્ષેત્ર વિકાસ,ટુરીઝમના કારણે બહોળા પ્રમાણમાં લોકો માટે રોજગારીનું સર્જન થાય છે. સુરત એ વિશ્વનું ખુબ જ ઝડપથી વિકાસ પામતું શહેર છે.

