રેલવે મંત્રાલયે મિઝોરમના આઈઝોલ જિલ્લામાં એક નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડવાના કારણની તપાસ કરવા માટે ચાર સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. કમિટીને એક મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
આ ચાર સભ્યોની સમિતિના નામોમાં RDSOના BP અવસ્થી, IIT દિલ્હીના ડૉ. દિપ્તી રંજન સાહુ, IRICNના શરદ કુમાર અગ્રવાલ અને NF રેલવેના ચીફ બ્રિજ એન્જિનિયર સંદીપ શર્માનો સમાવેશ થાય છે.
રેલ્વે બોર્ડની વર્કસ-1 શાખા એ સમિતિની કામગીરી અને રેલ્વે બોર્ડ દ્વારા વિચારણા માટે અહેવાલો સબમિટ કરવા, સમિતિની ભલામણોના અમલીકરણ અને સંબંધિત તમામ મુદ્દાઓ માટે મોડેલ શાખા હશે. બુધવારના રોજ આઈઝોલ નજીક બૈરાબી-સાયરાંગમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતાં 22 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ગુરુવારે રેસ્ક્યુ ઓપરેશન હેઠળ કાટમાળમાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે હજુ પણ એક મજૂર ગુમ હોવાની આશંકા છે.
તમામ પીડિતો પશ્ચિમ બંગાળના માલદાના રહેવાસી હતા. આ ઘટના દરમિયાન 26 મજૂરો સ્થળ પર હાજર હતા. રેલ્વેએ જણાવ્યું હતું કે નિર્માણાધીન બ્રિજ પર ગેલેન્ટ્રી પડી જવાને કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. વડાપ્રધાને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે જ સમયે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર તરીકે આપવાનું વચન આપ્યું છે.