અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, 20 થી વધુ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ-ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના હેબતપુર પાસે ટેન્કર, ટ્રાવેલ્સ અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ જિલ્લાના હેબતપુર પાસે ત્રિપલ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. હેબતપુર પાટિયા પાસે ટેન્કર, ટ્રાવેલ્સ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.
આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ઈકો વાનમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. ધોલેરા, પીપલી, ધંધુકા, નારી અને ફેદરાથી પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સની ગેરહાજરીમાં ઘાયલોને લેવા માટે પોલીસના વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે માનવતા દાખવી કેટલાક દર્દીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.