ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટી 35 ફૂટે પહોંચી ગઈ છે.ગઈકાલ સવારથી નર્મદા નદીએ તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે નર્મદા નદીની આસપાસના ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નર્મદાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે સવારથી નર્મદા નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટર નોંધાઈ હતી. માત્ર 2 કલાકમાં સપાટીમાં 23 સેમીનો વધારો થયો હતો.
નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. કલેક્ટરે જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જાનહાનિ ન થાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગત રાત્રે નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ડભોઇ તાલુકાના નાંદેરિયા, ચાણોદ, ભીમપુરા, કરનાળી, ફુલવાડી, માંડવા સહિતના ગામોમાં પાણી ભરાઇ ગયા હતા અને પૂરની સ્થિતિ સર્જાઇ હતી.
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં ચાણોદ ગામ ફરી છલકાઈ ગયું હતું. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 35 ફૂટે પહોંચી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 1200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને SDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. SDRFની ટીમે ચાણોદના મલ્હાર ઘાટથી બચાવ કામગીરી હાથ ધરી હતી. નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે આરોગ્ય વિભાગની ટીમ પણ પગપાળા દેખાઈ રહી છે. આરોગ્ય વિભાગની 22 ટીમો દ્વારા આશ્રય સ્થાનો પર રહેતા તમામ નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.