ભાદરવી પૂનમથી શરૂ થયેલા મહામેળામાં અંબાના દર્શન કરવા માટે લાખો ભક્તો પગપાળા આવવા લાગ્યા છે.
ભાદરવી પૂનમથી શરૂ થતા મહામેળામાં અંબાના દર્શન કરવા લાખો માઇ ભક્તો પગપાળા આવવા લાગ્યા છે. 29મી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહામેળા દરમિયાન પગપાળા આવતા લાખો યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગો સખત મહેનત કરી રહ્યા છે. ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે 2,75,450 ભક્તો અને આજે બીજા દિવસે 4,68,286 ભક્તો મળીને કુલ 7,43,736 ભક્તો દર્શન માટે આવ્યા છે.
મહામેળાનો આ બીજો દિવસ છે, આ બે દિવસમાં લગભગ 7.43 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. આ બે દિવસમાં કુલ 46,284 ભક્તોએ અન્નકૂટનો પ્રસાદ લીધો છે. જ્યારે 3.09 લાખથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાંથી પ્રથમ બે દિવસમાં ચિક્કી પ્રસાદના 16,005 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
મહામેળાના પ્રથમ બે દિવસ દરમિયાન અંબાજીમાં કુલ 3,684 બસની ટ્રીપ કરવામાં આવી હતી. જેમાં 2,06,890 યાત્રાળુઓએ યાત્રા કરી હતી. તેવી જ રીતે ઉદનખાટોલામાં પ્રથમ દિવસે 2665 અને બીજા દિવસે 9654 યાત્રાળુઓ નોંધાયા છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા મેળાના પ્રથમ બે દિવસમાં કુલ 16,489 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
અંબાજી મંદિરનો ચાચરચોક ભક્તો મારી અંબે જય-જય અંબેના નાદથી ગૂંજી રહ્યો છે.