(જીએનએસ) તા. 19
અમદાવાદ
ગુજરાતના 12 જિલ્લાના સેંકડો ગામો પહેલા ક્યારેય ન હોય તેવા સામાજિક હેતુ માટે એક થયા અને સરકારના નિર્દેશ હેઠળ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું. જેમાં મોટી સંખ્યામાં પુરૂષો, મહિલાઓ અને બાળકોએ બાળ લગ્ન નાબૂદીની પ્રતિજ્ઞા લીધી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, વિવિધ સરકારી વિભાગોએ અધિકારીઓ અને અન્ય હિતધારકોને ‘બાળ લગ્ન મુક્ત ભારત’ અભિયાનમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા માટે પત્ર લખ્યો હતો, અને ગુજરાતને બાળ લગ્ન મુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
પોલીસ સ્ટેશનોથી લઈને કોર્ટરૂમ, પંચાયતો અને સામુદાયિક કેન્દ્રો સુધી, બાળલગ્નમાંથી બચી ગયેલા નાના બાળકો અને વૃદ્ધ મહિલાઓ સહિત દેશભરમાં કરોડો લોકોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. બાળ લગ્નને સમાપ્ત કરવાના સંકલ્પને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
2030 સુધીમાં બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન એ 300 થી વધુ જિલ્લાઓમાં મહિલા કાર્યકરો અને 160 નાગરિક સમાજ સંગઠનો દ્વારા સંચાલિત રાષ્ટ્રવ્યાપી અભિયાન છે.
આ કાર્યક્રમના આયોજન દરમિયાન બાળ લગ્ન સામે રાજ્યભરમાં ઉત્સવ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જુસ્સા અને મજબૂત પ્રતિબદ્ધતા સાથે, લોકોએ મોડી સાંજે બાળ લગ્નનો ભોગ બનેલી મહિલાઓના નેતૃત્વમાં કેન્ડલ માર્ચ કાઢી હતી. ગુજરાતમાં બાળલગ્ન માટે કોઈ સ્થાન નથી તેવા સંદેશ સાથે સમાજના તમામ વર્ગોના જૂથોએ ભાગ લીધો હતો.
યુનિસેફના અંદાજ મુજબ, જો વર્તમાન દરે બાળ લગ્ન ચાલુ રહેશે તો 2050 સુધીમાં સમગ્ર ભારતમાં લાખો છોકરીઓ બાળ લગ્ન માટે મજબૂર થશે. આ ઝુંબેશના ભાગરૂપે, બાળ અધિકાર કાર્યકર્તા અને વકીલ ભુવનરિભુ દ્વારા લખાયેલ નવું પુસ્તક ‘વ્હેન ચિલ્ડ્રન હેવ ચિલ્ડ્રનઃ ટીપીંગ પોઈન્ટ ટુ એન્ડ ચાઈલ્ડ મેરેજ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તે 2030 સુધીમાં બાળ લગ્નને નાબૂદ કરવાના ધ્યેયને હાંસલ કરવા માટે એક બ્લુપ્રિન્ટની રૂપરેખા આપે છે અને બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનના નવા કિરણના ભાગ રૂપે કામ કરતી NGOને જોડતી વ્યૂહરચના દર્શાવે છે.