અમદાવાદઃ વડોદરાની હરાણી બોટ અકસ્માતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્ર હંમેશા અકસ્માત બાદ જ કેમ જાગે છે? કોન્ટ્રાક્ટ આપતી વખતે મહાનગરપાલિકા શું ધ્યાન આપે છે? કોન્ટ્રાક્ટરોની સાથે અધિકારીઓ પણ જવાબદાર છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને નોટિસ પાઠવીને ત્રણ સપ્તાહમાં સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
- વડોદરા બોટ દુર્ઘટનામાં અધિકારીની સાથે કોન્ટ્રાક્ટર પણ જવાબદારઃ HC
- અકસ્માત બાદ જ તંત્ર કેમ જાગે છે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ, ત્રણ સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ
વડોદરા બોટ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટ દ્વારા કોર્ટ મિત્રની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં તપાસ પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે ઘટના પહેલા શું તપાસ થઈ? પાલિકાએ આ અંગે ખુલાસો કરવો પડશે. કોન્ટ્રાક્ટ કેવી રીતે ચાલી રહ્યો હતો, તમે બધું બરાબર કર્યું હશે, પણ આવું કેમ થયું? અમે આ જાણવા માંગીએ છીએ. કોર્પોરેશનમાં કોઈ જવાબદાર છે કે નહીં? કોન્ટ્રાક્ટર જવાબદાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખનો અભાવ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે વ્યક્તિગત સોગંદનામું ફાઇલ કરવું પડશે.
ગુજરાત હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ માત્ર વડોદરાના હરણી તળાવની ઘટના પુરતી મર્યાદિત નથી. રાજ્યના તમામ તળાવો અને જળાશયોની સ્થિતિની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. રાજ્યની તમામ શાળાઓ માટે સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પ્રસિદ્ધ કરવામાં આવે. સ્કૂલ ટૂર્સ અંગે હાઈકોર્ટે કહ્યું હતું કે સ્કૂલ ટૂર્સનું આયોજન કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. જ્યારે પણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રવાસન સ્થળ પર લઈ જવામાં આવે ત્યારે શાળા સત્તાવાળાઓએ ખાસ કાળજી લેવી જોઈએ.
સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે કોન્ટ્રાક્ટ 2017માં આપવામાં આવ્યો હતો. રાજ્યના તળાવો સહિત તમામ જળાશયોમાં જ્યાં આવી પ્રવૃત્તિઓ થાય છે ત્યાં જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં તમામ સ્થળોએ બોટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.