Green Ring Road Ahmedabad development: રાજ્ય સરકારે તાજેતરમાં મોટા મહાનગરોને ફરતે ગ્રીન રીંગરોડ બનાવવાની જાહેરાત કરી છે. આ માટે 200 કરોડની ફાળવણી પણ જાહેર કરવામાં આવી છે. હેતુ સરાહનીય છે – શહેરોમાં વધતા વાહનવ્યવહારને ઘટાડવો, પર્યાવરણને અનુકૂળ માર્ગો બનાવવાના અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાના. પરંતુ સવાલ એ છે કે શું આ યોજના વાસ્તવમાં અમલમાં આવશે કે ફક્ત કાગળ પર જ રહી જશે?
જૂના વાયદા અને અધૂરા સપના
છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં આવી યોજનાઓ જાહેર થતી આવી છે, પરંતુ તેનું પરિણામ સામાન્ય લોકો સુધી પહોંચ્યું નથી.
1990ના દાયકામાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડે એવું આયોજન કર્યું કે રાજ્ય પરિવહન નિગમની બસો શહેરની અંદર ન ઘુસે અને બહારના સ્ટેન્ડ પરથી એએમટીએસ કનેક્ટિવિટી મળે. પણ એ યોજના ક્યારેય શરૂ જ થઈ નથી.
2000ની સાલમાં ઔડા દ્વારા પહોળા રસ્તાઓ બનાવાયા, પરંતુ બાદમાં તે પર બીઆરટીએસની લેન બનતાં ટ્રાફિક સમસ્યા ઓછી થવાના બદલે વધી ગઈ. મેટ્રો રેલ પણ આવી, પરંતુ મેટ્રો સ્ટોપ અને એએમટીએસ વચ્ચે યોગ્ય જોડાણ ના હોવાથી તેનો પૂરતો લાભ મળ્યો નથી.
2010માં સરદાર પટેલ રીંગરોડ પછી એક નવો રીંગરોડ બનાવવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તે યોજના પણ ગાયબ થઈ ગઈ. કેન્દ્રની લોજિસ્ટિક પાર્ક યોજના પણ હજી અધવચ્ચે અટકી છે.
પરિણામ
શહેરોમાં ભારે વાહનો, કોમર્શિયલ ટ્રાફિક અને ખાનગી વાહનોની સંખ્યા સતત વધી રહી છે. જાહેર પરિવહન પર ધ્યાન નહીં આપતાં, દરેક નવી યોજના કાગળ પરની જાહેરાતથી આગળ વધી નથી શકી.
સાચો ઉકેલ
નવી ગ્રીન રીંગરોડની જાહેરાત આકર્ષક શબ્દોમાં રજૂ થઈ છે, પણ અનુભવ દર્શાવે છે કે ફક્ત જાહેરાતોથી જ પરિવર્તન આવતું નથી. જો શહેરોને ખરેખર રાહત આપવી હોય તો માસ ટ્રાન્સપોર્ટેશનની મજબૂત અને કાર્યક્ષમ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. લોકો બસ, મેટ્રો કે અન્ય જાહેર પરિવહન સરળતાથી ઉપયોગ કરે એ માટે સુવિધા વધારવી પડશે. નહીં તો ગ્રીન રીંગરોડ કે નવા ફ્લાયઓવર જેવી યોજનાઓ ફક્ત રાજકીય દેખાવ જ સાબિત થશે.
