તંત્ર દ્વારા કામગીરી શરૂ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ટોલબંધી કરાશે
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો શામળાજી–મોડાસા–ગોધરા સ્ટેટ હાઈવે હાલ અત્યંત બિસ્માર અને જોખમી બની ગયો છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં સળંગ રીસરફેસ કામગીરી સહિતની સુવિધાઓ આપવામાં આવતી નથી.
દરરોજ હજારો વાહનચાલકો પાસેથી નિયમિત ટોલ વસૂલવામાં આવે છે, છતાં બદલામાં કોઈ જ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ માર્ગ હવે ‘મોતનો માર્ગ’ સમાન બની ગયો છે.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે રસ્તા પર મસમોટા ખાડા, તૂટેલા ડિવાઈડર, સાઇનબોર્ડનો અભાવ અને રોડની સાઈડો ના કારણે અકસ્માતોમાં ચિંતાજનક વધારો થયો છે. જિલ્લાના એકમાત્ર મહત્વપૂર્ણ શામળાજી રોડ રેલવે સ્ટેશન સહિત કેટલીય જગ્યાઓ તરફ કોઈ દિશાસૂચક બોર્ડ ન હોવું તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.
ટોલ રોડ પર નિયમ મુજબ એમ્બ્યુલન્સ, ટોઈંગ વાન, પીવાનું પાણી, શૌચાલય અને અન્ય સુવિધાઓ ફરજિયાત છે, છતાં જમીનસ્તરે આ સુવિધાઓ ગેરહાજર છે. ઉમેદપુર (જી) ખાતેનું પિકઅપ સ્ટેન્ડ એક વર્ષથી અકસ્માતમાં સંપૂર્ણ નુકશાન પામ્યું છે છતાં પુનઃનિર્માણ કરવામાં આવ્યું નથી. સર્વિસ રોડ , જરૂરી મીડિયમ ઓપનિંગ,અને સુરક્ષા સુવિધાઓ અંગે પણ તંત્ર ઉદાસીન છે. આ પરિસ્થિતિ ટોલ એજન્સી અને સંબંધિત અધિકારીઓ વચ્ચે મિલીભગતની શંકા ઊભી કરે છે.
અરૂણભાઈ પટેલે મુખ્યમંત્રી અને કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે સમગ્ર માર્ગની નિષ્પક્ષ થર્ડ પાર્ટી ઓડિટ કરાવવામાં આવે, નિયમોનો ભંગ કરનાર ટોલ એજન્સી સામે કડક કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અથવા ભારે દંડ ફટકારવામાં આવે તેમજ રેલવે સ્ટેશન તરફના માર્ગનું વિસ્તરણ અને સુરક્ષા કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે.
આ મુદ્દે અરૂણભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલે જણાવ્યું હતું કે જો આગામી ૩૦ દિવસમાં સંતોષકારક કામગીરી શરૂ નહીં થાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને ‘ટોલબંધી’ જેવા કાર્યક્રમો આપશે, તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની રહેશે.

