અમદાવાદ, ઘાટલોડિયા વિસ્તારમાં ગત ડિસેમ્બર માસમાં પત્નીના પ્રેમી પર જીવલેણ હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરનારા પતિની બે માસ બાદ પોલીસે ધરપકડ કરી છે. પત્ની ઘર છોડીને પ્રેમી સાથે મૈત્રી કરારમાં રહેવા જતા આરોપીએ મિત્રો સાથે મળીને હુમલો કર્યાે હતો. આરોપીએ યુવકની આંખમાં મરચું નાખીને છરી અને પાઇપથી હુમલો કરતા તે ગંભીર રીતે ઘવાયો હતો.
પોલીસે અગાઉ આ ગુનામાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનાના મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નારણપુરામાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતા અજય પઢિયાર સિલાઇનું કામ કરે છે. અજય અગાઉ ઘીકાંટા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. તે સમયે તેના વિસ્તારમાં રહેતી પરિણીતા અને તેના પતિ સાથે સંબંધ ધરાવતો હતો. આ દરમિયાન પરિણીતાના પતિએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
જેથી પરિણીતા અને તેના પતિ વચ્ચે મનમેળ રહ્યો નહોતો. બંને વચ્ચે બોલાચાલી ઝઘડા પણ થતા હતા. પરિણીતાને તેનો પતિ પસંદ ન હોવાથી આ દરમિયાનમાં અજય સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી છેલ્લા આઠ માસથી પરિણીતા અજયના ઘરે આવીને મૈત્રી કરાર કરીને રહેતી હતી. તેવામાં ગત તા.૧૮ ડિસેમ્બરે જ્યારે પરિણીતાને કે. કે. નગર ખાતે રસોઈ બનાવવાના કામ માટે જવાનું હોવાથી અજય મૂકવા ગયો હતો.
પરિણીતાને મૂકીને તે ફ્લેટ નીચે બાઇક પર બેસીને ફોનમાં ગેમ રમતો હતો ત્યારે અચાનક જ પાછળથી કોઈ અજાણી વ્યક્તિએ આવીને અજયની આંખ પર હાથ મૂકી દેતા તેને બળતરા થઈ હતી.
આંખમાં મરચું નાખીને અજયના માથામાં કોઇ હથિયારથી હુમલો કરતા તે નીચે પડી ગયો હતો. ઊભો થઇને અજય ફ્લેટમાં નાસી ગયો ત્યારે તેની પાછળ દોડીને શખ્સોએ ચાકુથી હુમલો કર્યાે હતો. આ સમયે મારા પિતાએ આજે કીધું છે કે તેને પતાવીને જ આવજે તેવું કહેતા હુમલો કરનાર પરિણીતાનો પતિ મિહિર સોલંકી હોવાનું જણાયું હતું.
ઘાટલોડિયા પોલીસે મિહિર સોલંકી અને તેના પિતા બિપીન સોલંકી સામે ગુનો નોંધ્યા બાદ હવે આરોપી મિહિર સોલંકીની સરદારનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઘાટલોડિયા પોલીસે આ કેસમાં અગાઉ મિહિર સોલંકીના પિતા બિપીન સોલંકી અને કિરણ પરમાર સહિત ૪ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મિહિર સોલંકી વિરુદ્ધ મારામારી, ધમકી સહિત પાંચ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.SS1MS

