હિંમતનગર, ઈડર તાલુકાના લાલોડા ગામે એક હડકાયા કૂતરાએ ભેંસને બચકું ભરતાં ભેંસનું બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. જોકે આ ભેંસનું દૂધ પીધેલા ૨૦થી વધુ લોકોએ હડકાવા વિરોધી રસી લેવા માટે ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.
ઇડર તાલુકાના લાલોડા ગામે સોમવારે એક હડકાયા કૂતરાએ ભેંસને બચકું ભર્યું હતું. હડકાયા કૂતરાના કરડ્યા બાદ ખેડૂતની ભેંસનુ બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. ભેંસનું મોત નીપજ્યા બાદ લોકોમાં ભય જોવા મળ્યો હતો અને કૂતરુ કરડ્યા બાદ બે દિવસ સુધી ભેંસનું દૂધ પીનારા ૨૦થી વધુ લોકોમાં પણ ભય ફેલાયો હતો.
ભેંસને બચકું ભર્યા બાદ તેનું મોત નીપજ્યાના સમાચાર ગામમાં ફરતા થતા લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ હતી. જોકે ૨૦થી વધુ લોકોએ ઇડર સિવિલ હોસ્પિટલમાં જઇ હડકાવાથી બચવા માટે રસી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ઇડર સિવિલ હોસ્પિટલના અધિક્ષક સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે લાલોડા ગામના આશરે ૨૦ લોકો હડકવા વિરોધી રસી લેવા માટે હોસ્પિટલ આવ્યા હતા.
માહિતી મુજબ હડકાયું કૂતરું ભેંસને કરડતાં તેનું મોત થતા કોઈ ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી ન થાય તે માટે ગ્રામજનો સાવચેતીરૂપે રસી લેવા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે દર મહિને સરેરાશ ૧૦૦ જેટલા હડકવાના કેસ આવે છે અને તમામ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવે છે.SS1MS

