(પ્રતિનિધિ) ગોધરા, ગોધરાના મહાવીર નગર સ્થિત મહેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ વસ્તી અંતર્ગત હિન્દુ જાગરણ અને એકતા ના ઉદ્દેશ્યથી વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ સફળ બનાવ્યો હતો.
સંમેલનના મુખ્ય વક્તા તરીકે શ્રી જ્ઞાન વર્ધન સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર નવસારી સાથે સંકળાયેલા, તેમજ શ્રી યતિ રાજ સ્વામી, મ્છઁજી ગોધરા મંદિર ના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. બંને પૂજ્ય સંતોએ હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક જાગૃતિ અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યા હતા. તેમણે સમાજમાં વધતી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે સંસ્કૃતિ અને સંસ્કારોનું રક્ષણ કરવું સમયની માંગ હોવાનું જણાવ્યું.
મહિલા વક્તા તરીકે શૈલાબેન પંચાલ અને સ્મિતાબેન શુક્લાએ પણ બહેનોને સંબોધતા સંસ્કારસભર પરિવાર અને સંઘટિત સમાજના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત સંઘના વક્તા જયભાઈ ભટ્ટે હિન્દુ સમાજની એકતા અને સંગઠન શક્તિ વિશે ઉર્જાસભર માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત શ્રોતાઓએ ઉલ્લાસપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો. આયોજન સમિતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

