નિકોલ વિધાનસભા વિસ્તારમાં 5 માર્ચે અંદાજીત રૂ.97.36 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 5 માર્ચ 2026, ગુરુવારના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઘ્વારા પૂર્વ ઝોનના નિકોલ વિધાનસભા વિસ્તારમાં અંદાજિત રૂ.97.36 કરોડના ખર્ચે કુલ 31 વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રૂ.17.67 કરોડના 2 કામોના લોકાર્પણ, રૂ.77.56 કરોડના 8 કામોના ખાતમુહૂર્ત અને રૂ.2.13 કરોડના 70:20:10ના 21 કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
નિકોલ વિધાનસભા વિસ્તારમાં કુલ રૂ.રૂ.17.67 કરોડના 2 કામોનું લોકાર્પણ કરવામાં આવશે.નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડમાં રૂ.6.76 કરોડના ખર્ચે બનાવેલી વિરાટનગરની નવી સબ ઝોનલ ઓફિસ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ડિમોલીશ કરી રૂ. 10.91 કરોડના ખર્ચે બનાવેલા નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં કુલ રૂ.77.56 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
જેમાં નિકોલના ઓઢવમાં રૂ.1.99 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો કરશનનગર શાળાથી રાજુ મોબાઈલ શોપ સુધીનો રોડ, રૂ.4.52 કરોડના ખર્ચે બનાવેલા આપા હોટલથી શ્રીરંગ પે એન્ડ યુઝ સુધીનો રોડ, રૂ.3.13 કરોડના ખર્ચે તૈયાર કરેલા ઓઢવ દર્શનધાન સોસાયટીથી સ્મશાન ગૃહ સુધીનો રોડ, રૂ.18.68 કરોડના ખર્ચે બનાવેલા ઓઢવ વોર્ડના ફાયર સ્ટેશનથી એસ.પી રીંગ રોડ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
નિકોલના વિરાટનગર વોર્ડમાં રૂ.1.23 કરોડના ખર્ચે બનાવેલો માધવ બાગ સોસાયટીથી જીવન વાડી રોડ, રૂ.1.74 કરોડના ખર્ચે તૈયાર કરેલો તેજેન્દ્ર પ્રકાશ સોસાયટીથી ખોડીયાર જ્યોત સુધીનો રોડ, રૂ.2.25 કરોડના ખર્ચે બનાવેલો રતન પાર્ક, પતંજલી સોસાયટી, સરસ્વતી સ્કૂલથી કોઠીયા હોસ્પિટલ સુધીનો રોડ તેમજ ઓમ સર્કલ પાસે રૂ.44.02 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી પૂર્વ ઝોનની મેઈન ઝોનલ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેની સાથે વિરાટનગરમાં રૂ.2.13 કરોડના 70.20.10ના 21 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પૂર્વઝોનના ઓઢવ વોર્ડમાં વાલ્મિકીનગર ઘર નં.81થી 97માં 70:20:10 સ્વર્ણીમ યોજના અંતર્ગત સોસાયટીમાં હયાત જુની ગટર લાઈનની જગ્યાએ નવી ગટર લાઈન, અંબિકા સ્મૃતિ સોસાયટીમાં 70:20:10 સ્વર્ણીમ યોજના અંતર્ગત સોસાયટીમાં હયાત જુની ગટર લાઈનની જગ્યાએ નવી ગટર લાઈન અને પેવર બ્લોક લગાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલ ડાગા, વિવિધ કમિટીના ચેરમેન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

