મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાગવેલની પવિત્ર ધરતી પરથી ખેડા જિલ્લાને રૂ. ૩૪૮ કરોડથી વધુના ૩૧ વિકાસકાર્યોની ભેટ ધરી
ફાગવેલના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઊગ્યો,વિકાસલક્ષી કામોની ભેટ મળતા આ વિસ્તારની કાયાપલટ થશે: કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
ખેડા જિલ્લો ‘ગોલ્ડન લીફ’ થી હવે ‘ગોલ્ડન ડેવલપમેન્ટ’ તરફ અગ્રેસર: રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩૪૮ કરોડથી વધુ રકમના ૩૧ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે,નવનિર્મિત ફાગવેલ તાલુકાના વહીવટને વેગ આપવા માટે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું નિર્માણ એક જ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ફાગવેલ એ શૌર્ય અને શ્રદ્ધાની પવિત્ર ધરતી છે,જેને માત્ર ગુજરાત જ નહીં,સમગ્ર દેશ જાણે છે. વર્ષ ૨૦૦૨માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા‘ગુજરાત ગૌરવ યાત્રા‘ની શરૂઆત અહીંથી જ કરી હતી. આજે તે વિકાસ યાત્રા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વ કક્ષાએ પહોંચી છે.
સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી નો ઉલ્લેખ કરીને શ્રી પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અસ્મિતા,સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ગૌરવ હંમેશા ઉજાગર કર્યું છે. સોમનાથની રક્ષા કરનાર વીર હમીરજી ગોહેલ અને ગૌરક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ જેવી વિભૂતિઓના ગૌરવ અપાવવાની સાથે વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી વિકાસનો ઇતિહાસ રચ્યો છે,તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ગ્રામીણ વિકાસ પર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,શહેરીકરણના ભારને ઘટાડવા માટે ગામોને પણ શહેર જેવી સુવિધા મળી રહે તે માટે,જે તાલુકા મથકો પર નગરપાલિકા નથી તેવા ૧૧૪ ગામોના વિકાસ માટે‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના‘અમલી બનાવી છે. આગામી સમયમાં આ યોજનાનો વ્યાપ વધારી ૧૦,૦૦૦થી વધુ વસ્તી ધરાવતા મોટા ગામોને પણ નવી યોજનામાં આવરી લેવાશે,તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના‘વિકસિત ભારત ૨૦૪૭‘ના વિઝનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,કેન્દ્ર સરકારનું આ વર્ષનું બજેટ‘કર્તવ્ય‘પર આધારિત છે. વડાપ્રધાનશ્રી પ્રેરિત‘વોકલ ફોર લોકલ‘અને‘હર ઘર સ્વદેશી‘ના મંત્ર અપનાવી વિકસિત ખેડાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રામાં સહભાગી થવા શ્રી પટેલે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.
કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ ખેડા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવીને વીર ભાથીજી મહારાજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,પવિત્ર ધામના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઉગ્યો છે.
સિંચાઈ,પાણી પુરવઠા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા વિકાસલક્ષી કામોની ભેટ ફાગવેલ અને ખેડા જિલ્લાની કાયાપલટ કરશે,તેમ મંત્રીશ્રી સોલંકીએ સગર્વ ઉમેર્યું હતું. નવો તાલુકો બનવાથી વહીવટી પ્રક્રિયાઓ સરળ બનશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે,તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્રને રાજ્ય સરકાર ચરિતાર્થ કરી રહી છે,તેમ જણાવી મંત્રી શ્રી સોલંકીએ નાગરિકોને સરકારના આ વિકાસના યજ્ઞમાં સહભાગી થઈ,જિલ્લાને ગૌરવશાળી બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી.

