Ahmedabad International Kite Festival 2026: મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના આંગણે ફરી એકવાર વિશ્વસ્તરીય પતંગ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આ ‘ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ’માં આ વર્ષે દેશ-વિદેશના મહાનુભાવોની હાજરી આકર્ષણનું કેન્દ્ર બનશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહોત્સવનું ઉદ્ઘાટન કરે તેવી પ્રબળ શક્યતા છે, જ્યારે જર્મનીના ચાન્સેલર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી શકે છે.
વડાપ્રધાન મોદી ૧૧ જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરે તેવું પણ આયોજન છે. પીએમની મુલાકાતને પગલે અમદાવાદ અને રિવરફ્રન્ટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.
૩૦ દેશોના પતંગબાજો જમાવશે આકર્ષણ
આ વર્ષે મહોત્સવમાં ૩૦ થી વધુ દેશોના ૧૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે. આકાશમાં વિવિધ દેશોની સંસ્કૃતિને રજૂ કરતી વિશાળ અને અનોખા આકારની પતંગો જોવા મળશે. પતંગબાજીની સાથે સાથે સાંજે પરંપરાગત ગુજરાતી લોકનૃત્ય અને સંગીતના કાર્યક્રમો પણ પ્રવાસીઓ માટે આયોજિત કરવામાં આવશે.
પર્યટન અને સુવિધા
આ મહોત્સવને કારણે અમદાવાદના પર્યટન ઉદ્યોગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરની મોટાભાગની હોટલો અત્યારથી જ બુક થઈ ગઈ છે. રિવરફ્રન્ટ પર આવતા મુલાકાતીઓ માટે ગુજરાતી વાનગીઓના સ્ટોલ અને હસ્તકલાની ચીજવસ્તુઓના હાટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) ખાતે પણ સમાંતર રીતે ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

