સ્વામી માધવપ્રિયદાસજીનું ૭૫ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું
Ø‘સંસ્કાર સાથેનું શિક્ષણ’ માત્ર ગુરુકુળ પરંપરામાં જ શક્ય છે
સ્વામી માધવપ્રિયદાસજીનું બાળક જેવું હાસ્ય તેમના રાગદ્વેષમુક્ત વ્યક્તિત્વને કારણે છે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP),અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના ૭૫ વર્ષ નિમિત્તે અમદાવાદમાં આયોજિત‘અમૃતવંદના મહોત્સવ‘માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભાવપૂર્વક સહભાગી થયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સ્વામી માધવપ્રિયદાસજી પરના‘અમૃતવંદના‘ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે સ્વામી માધવપ્રિયદાસજીનું અમૃતપર્વ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૨૬નું વર્ષ ભારત માટે ઐતિહાસિક છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા ૧૦૦૦ વર્ષની અટલ આસ્થાનું પુનઃસ્થાપન થયું છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી અને ‘વંદે માતરમ’ની રચનાના ૧૫૦ વર્ષની ભવ્ય ઉજવણી થઈ રહી છે,જે ભારતના આત્મસન્માનનું પ્રતીક છે. આ જ વર્ષે સ્વામી માધવપ્રિયદાસજીના અમૃતવર્ષની ઉજવણી થઈ રહી છે,એ આનંદની વાત છે.

મુખ્યમંત્રીશ્રીએ એસજીવીપી સંસ્થાની પ્રશંસા કરતા કહ્યું કે,શિક્ષણ તો ગમે ત્યાં મળી શકે છે,પરંતુ ‘સંસ્કાર સાથેનું શિક્ષણ’ માત્ર ગુરુકુળ પરંપરામાં જ શક્ય છે. ગુરુકુળે શિક્ષણને સમષ્ટિના કલ્યાણનું માધ્યમ બનાવ્યું છે. સર્વ સમાજ માટે શિક્ષણથી વિકાસના અવસર આપ્યા છે,એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રીજી મહારાજના માર્ગે ચાલીને સ્વામિનારાયણ સંપ્રદાયે વ્યસનમુક્તિ,જળ સંચય,અંધશ્રદ્ધા નાબૂદી,ગીર ગાય સંવર્ધન,કુદરતી આફતો વખતે સહાય અને શિક્ષણ દ્વારા સમાજમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વામી માધવપ્રિયદાસજીના બાળક જેવા નિર્દોષ હાસ્ય વિશે જણાવ્યું હતું કે સ્વામીજીનું બાળક જેવું હાસ્ય તેમના રાગદ્વેષમુક્ત વ્યક્તિત્વને કારણે છે. હૃદયમાં નિરંતર આશિષ વહેતા હોય ત્યારે આવું હાસ્ય જોવા મળે છે. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના વ્યક્તિત્વ વિશે તેમણે ઉમેર્યું કે,સ્વામીજીનું જીવન હંમેશાં વર્તમાનમાં જીવવાનું અને નિરંતર પરોપકાર કરવાનું ઉદાહરણ પૂરું પાડે છે.

