સિંગલ જજના ચુકાદાને પડકાર, ૭મી એપ્રિલે સુનાવણી થશે
અમદાવાદ, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના વિવાદમાં હાઈકોર્ટના સિંગલ જજની બેન્ચે એક ચુકાદો આપતાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઈન્દુલકર, અમર પેટીવાલાને ચૂંટણી લડવા માટે ગેરલાયક અને અયોગ્ય ઠેરવ્યા છે.
આ સાથે જ વિવાદીત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટ‹નગ ઓફિસરના નિર્ણયને પણ હાઈકોર્ટે રદબાતલ કર્યો છે. સિંગલ જજના ચુકાદા સામે હવે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ કરવામાં આવી છે જેમાં ૭મી એપ્રિલે વધુ સુનાવણી રાખવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણમાં મંગળવારે પક્ષકારોની સમંતિથી સુનાવણી સાત એપ્રિલે નકકી કરવામાં આવી છે ત્યાં સુધી સિંગલ જજનો વચગાળાના આદેશ મુજબની વ્યવસ્થા યથાવત રહેશે.
આ કેસમાં અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિની અરજીમાં લંબાણપૂર્વકની સુનાવણી બાદ હાઈકોર્ટના સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઈન્દુલકર અને અમર પેટીવાલાને બીસીએની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટ‹ન ઓફિસરના નિર્ણયને હાઈકોર્ટના સિંગલ જજે રદ કર્યો હતો.
જોકે, સિંગલ જજ દ્વારા પ્રતિવાદીઓની વિનંતીને ધ્યાનમાં લઈને વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારવામાં આવી હતી. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે રોજિંદી કામગીરી કરશે, પરંતુ વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્ત્વના કે નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં.
આ કેસમાં હકીકત એવી છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે સ્ટેટ ક્રિકેટ એસો.ના કોઈ પણ ઓફિસર બેરર્સ નવ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ગેરલાયક ઠરશે અને બે સળંગ કાર્યકાળ બાદનો કૂલિંગ ઓફ પિરિયડ ત્રણ વર્ષનો રહેશે. આ પરિપ્રેક્ષ્યમાં જયારે છ જાન્યુઆરીએ બરોડા ક્રિકેટ એસો.એ ચૂંટણીનું જાહેરનામું કર્યું ત્યારે કિરણ મોરે સહિત ચાર જણાએ પ્રેસિડેન્ટ, માનદ સેક્રેટરી અને માનદ ખજાનચીના પદ માટે દાવેદારી નોંધાવી હતી.
જેના પગલે બીસીએના બે સભ્યોએ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી કરી હતી અને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાને ઉક્ત ચારેય વ્યક્તિ ગેરલાયક છે અને તેમની ઉમેદવારી રદ કરવી જોઈએ. અલબત્ત, આ વાંધા અરજીનો નિર્ણય ન થતાં અને કોઈ સુનાવણી કે આદેશ વિના ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી.

