સુરતના હીરા બજારના ૮૦ વેપારી ડાયમંડ બુર્સમાં કારોબાર શરૂ કરશે -હીરા બજારના વેપારી-સ્ટાફ માટે બસ દોડાવાશે
સુરત, સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવાના વધુ એક પ્રયાસ સાથે ૧૮ ફેબ્રુઆરીથી મહિધરપુરા અને વરાછા મીનીબજારનાના ૩૦થી વધુ અગ્રણી હીરા વેપારીઓએ તેમજ ૪૦થી પ૦ જેટલા મધ્યમ વર્ગના વેપારીઓ કેબિનમાં પોતાનો કારોબાર શરૂ કરશે.
ખજોદ ખાતે અંદાજે ૩૪૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવાના લાખ પ્રયત્ન બાદ પણ સંપૂર્ણપણે ધમધમતું થઈ શક્યું નથી.
જો કે, ચાર મહિના અગાઉ રાજ્યના ડેપ્યુટી સી.એમ. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી બાદ એટલે કે વર્ષ ર૦ર૬માં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેપારીઓ બુર્સ ખાતેથી ધંધો શરૂ કરવાનું વચન આપ્યું હતું જેને પગલે ૧૮ ફેબ્રુઆરીથી મહિધરપુરા અને વરાછા મીનીબજારના ૩૦થી વધુ અગ્રણી હીરા વેપારીઓ અને ૪૦થી પ૦ જેટલા મધ્યમ વર્ગના વેપારીઓ પોતાનો કારોબાર બુર્શ ખાતેથી શરૂ કરશે.
બીજી મહત્ત્વની બાબત એ છે કે, વેપારી, સ્ટાફ તથા દલાલોને અવર-જવર માટે અગવડતા નહીં પડે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ડાયમંડ બુર્સ સુધી દર દોઢ કલાકે વરાછા મીનીબજારથી રેલવે સ્ટેશન, મજૂરા ગેટ થઈ બુર્સ સુધી બસ દોડશે.

