Saturday, August 9, 2025
ગુજરાત

સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ: નટરાજ સોમનાથના ચરણોમાં કલા અર્પણ

સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ: નટરાજ સોમનાથના ચરણોમાં કલા અર્પણ
ભારતીય ગૌરવના પુનઃ સ્થાપક પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાંસોમનાથ તીર્થનું સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાન
સોમનાથ, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ,બસ નેટવર્ક,ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ,અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. વિશેષ રૂપે શ્રાવણ ૨૦૨૫માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન,જપ,તપ અને પાઠ કરી મહાદેવને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે ત્યારે આ સ્થળે દેશભરમાંથી આવનાર કલાકારો પોતાની નૃત્ય આરાધના પ્રસ્તુત કરી રહ્યા છે. આ સુભગ સમન્વયથી સોમનાથમાં સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.
પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘ દ્રષ્ટિથી સોમનાથની સાંસ્કૃતિક પુનઃ સ્થાપના:
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં સદીઓ પહેલાં હજારો નર્તક-નર્તકીઓ દ્વારા પોતાનું નૃત્ય પ્રસ્તુત કરીને કલા અને કલ્યાણના દેવતા નટરાજ સોમનાથ મહાદેવની કલા આરાધના કરવામાં આવતી હતી તે અનેક ગ્રંથો અને લેખોમાં પ્રાપ્ત થાય છે. આ પ્રાચીન કલા આરાધનાની દૈવીય પરંપરા અને ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલ શિવ તત્વને પુનઃઉજાગર કરવાના દિવ્ય સંકલ્પને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “વંદે સોમનાથ કલા મહોત્સવ”ના અભૂતપૂર્વ આયોજનના સ્વરૂપમાં મૂર્ત સ્વરૂપ મળ્યું છે.
શ્રેણીબદ્ધ આયોજનો:
શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત ત્રણ વિશેષ મંચ પર ગાયન,વાદન અને રોશની સાથે વિવિધ ભારતીય નૃત્ય શૈલીના નિપૂણ કલાકારો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભક્તિ અને કલાનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)અને ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગ સાથે આયોજિત આ મહોત્સવનું ધ્યેય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ ભારતના તીર્થો અને મંદિરોના આધ્યાત્મિક ઉપરાંત સાંસ્કૃતિક ગૌરવને પુન: સ્થાપિત કરવાનો છે.
પ્રથમ ચરણ:
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના પ્રથમ ચરણમાં,શ્રી પવિત્રા ભટ્ટ અને તેમની ટીમે ભરતનાટ્યમની મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિ આપી હતી. આ સિવાયશ્રી કદમ પરીખ અને વૃંદે કથક નૃત્ય દ્વારા દર્શકોને રોમાંચિત કરી મુક્યા હતા,જ્યારે નમ્રતા મેહતા અને સિદ્ધિ વાયકર દ્વારા પારંપરિક ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
દ્વિતીય ચરણ:
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના બીજા ચરણમાં,શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ તેમજ સમુદ્ર દર્શન વોકવે એમ બે દિવ્ય સ્થાનો ખાતે પુનાથી આવેલ નાદરૂપ વૃંદ દ્વારા કથક નૃત્ય,શ્રીમતિ રેમાં શ્રીકાંત (ECPA)ફાઉન્ડેશન વડોદરા અને તેમના શિષ્યો દ્વારા ભરત નાટ્યમ અને સોનલ શાહ અને તેમના શિષ્યો દ્વારા હુડો,રાહડો,સહિત પારંપરિક ગુજરાતી નૃત્યો,ગાર્ગી બ્યાબર્તી અને દેવાંશી દેવગૌરી‌ તેમજ શ્રીમતી દેવિકા દેવેન્દ્ર એસ મંગલા મુખીએ કથક નૃત્ય પ્રસ્તુત કરતા દર્શકો મંત્રમુગ્ધ થયા હતા.