વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા
રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો.
વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સ્નાતકોને પદવી એનાયત કરવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિશ્રીના દ્વારા ૭ વિદ્યાશાખાઓના ૧૮ વિભાગોના ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ હતી.
સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક પરિસરમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે,રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મુખ્ય કાર્યસ્થળ એવી આ પવિત્ર ભૂમિ પર આવીને તેમને અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. તેમણે આ સ્વાધીનતા સંગ્રામના આદર્શોની ભૂમિ પરથી બાપુની પાવન સ્મૃતિને આદરપૂર્વક નમન કર્યા હતા.
રાષ્ટ્રપતિશ્રીએ વિદ્યાપીઠના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતાં જણાવ્યું કે,વર્ષ ૧૯૨૦માં બ્રિટિશ સરકાર વિરુદ્ધના અસહકાર આંદોલન દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે દેશવાસીઓને બ્રિટિશ હસ્તકની શાળાઓ અને કૉલેજોનો ત્યાગ કરી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવા માટે આહ્વાન કરાયું હતું. આ આહ્વાનને પગલે દેશવાસીઓના સંસાધનોથી નિર્માણ પામેલી આ વિદ્યાપીઠ,રાષ્ટ્રનિર્માણ અને આત્મનિર્ભરતાના જીવંત આદર્શોનું ૧૦૫ વર્ષ જૂનું ઐતિહાસિક પ્રતીક છે.

તેમણે ઉમેર્યું કે,ઓક્ટોબર ૧૯૨૦માં સ્થાપનાથી લઈને જાન્યુઆરી ૧૯૪૮ સુધી સ્વયં મહાત્મા ગાંધીજી આ સંસ્થાના કુલાધિપતિ (ચાન્સેલર) રહ્યા હતા. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ,ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને શ્રી મોરારજી દેસાઈ જેવા મહાપુરુષોએ કુલાધિપતિ તરીકે વિદ્યાપીઠને માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રપતિશ્રીએ ભારપૂર્વક કહ્યું કે,દેશમાં ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે જેને ૭૫ વર્ષ સુધી આવી મહાન વિભૂતિઓનું માર્ગદર્શન મળ્યું હોય,અને આ જ કારણે દેશવાસીઓને વિદ્યાપીઠ પાસેથી વિશેષ અપેક્ષાઓ હોવી સ્વાભાવિક છે.
રાષ્ટ્રપતિશ્રીએ ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્વેના એક દીક્ષાંત સમારોહને યાદ કરતાં કહ્યું કે,ગાંધીજીએ તે સમયે વિદ્યાર્થીઓને દેશના સ્વરાજ આંદોલનમાં અગ્રેસર રહેવા આહ્વાન કર્યું હતું. આ દર્શાવે છે કે બાપુ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અભિયાનમાં અગ્રણી તરીકે જોતા હતા. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા ૫૦,૦૦૦ ગ્રામ્ય વિચરણ કરીને કરવામાં આવેલી સમાજ સેવાની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.

