Bahiyal bulldozer action illegal encroachments: આજે વહેલી સવારથી જ ગાંધીનગરના બહિયલમાં દાદાની બૂલડૉઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ હતી, નવરાત્રીમાં કાંકરિચાળો કરાનારા તોફાની તત્વો વિરૂદ્ધ ફરી એકવાર દબાણ હટાવ કામગીરીમાં લગભગ 186 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક સોશ્યલ મીડિયા પૉસ્ટને લઇને નવરાત્રીમાં ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં કેટલાક તોફાની તત્વો દ્વારા હિંસા ફેલાવવામાં આવી હતી, બહિયલમાં ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને દુકાનો પર આગ ચાંપવાના ગંભીર બનાવો બન્યા હતા. આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આજે સવારથી જ 186 જેટલા ગેરકાયદે દબાણકારોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, આ અગાઉ આ તમામને તંત્ર દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી. તેઓને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવેલું હતું, જોકે, સમય મર્યાદા પુરુ થતાં જ વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઇ છે. બહિયલમાં નવરાત્રી દરમિયાન હિંસક તોફાનની ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર સક્રિય થઇ ગયું હતું. પોલીસે કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200 ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં 66 થી વધુ શંકાસ્પદ લોકોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે.
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના કાનપુરમાં ‘I Love Muhammad’ લખેલા બેનર લાગ્યા હતા. આવા જ બેનર સોશિયલ મીડિયામાં મુકાવા લાગ્યા હતા. જેમાં ગાંધીનગર પાસેના બહિયલ ગામના એક હિંદુ યુવકે આ સોશિયલ મીડિયા પોસ્ટમાં કોમેન્ટ કરી હતી. જેના કારણે બહિયલના મુસ્લિમ યુવાનો રોષે ભરાયા અને તે યુવાનની દુકાન અને આસપાસની દુકાનોમાં તોડફોડ કરી, આગચંપી કરી હતી. પછી નવરાત્રિના ગરબા રમતા હતા એ મંડપ પાસે જઈને પથ્થરમારો કર્યો હતો. જેથી ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

