મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “અર્થ સમિટ ૨૦૨૫-૨૬”નો ભવ્ય શુભારંભ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ દેશનીGDPમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાની ભારત સરકારની નેમ: કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ
:કેન્દ્રીય સહકારિતા મંત્રી:
Øઅર્થ સમિટના અમૃત ચિંતનથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાના અનેક મોટા પડકારોનો યોગ્ય ઉકેલ લાવી શકાશે
Øગ્રામીણ વિકાસ,કૃષિ અને સહકારિતા મંત્રાલયને વધુ પરિણામલક્ષી બનાવવા એક દાયકામાં વડાપ્રધાનશ્રીએ તેના સંયુક્ત બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો
Øસહકારી ક્ષેત્રના વિકાસ માટે દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા અને દેશભરમાં ૫૦ કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો બનાવાશે
અર્થ સમિટ સ્ટાર્ટઅપ્સ,ઇનોવેટર્સ,એગ્રી સાયન્ટીસ્ટ્સ અને રિસર્ચર્સ તથા સ્કોલર્સને એક સાથે લાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય “અર્થ સમિટ ૨૦૨૫-૨૬”નો શુભારંભ કરાવ્યો હતો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI)દ્વારા સંયુક્ત રીતે આયોજિત અર્થ સમિટ એકસ્પોનું કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન કરીને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ વેળાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી,રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે,ગ્રામીણ અર્થવ્યવસ્થાને દેશના અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો આપનાર ક્ષેત્ર બનાવવા માટે ત્રણ ‘અર્થ સમિટ’ની શ્રેણી આયોજન કરવામાં આવ્યું છે. જેની દ્વિતીય આવૃત્તિનું મહાત્મા ગાંધીની ભૂમિ – ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. ભારતના વિકાસની પરિકલ્પના તેના ગ્રામીણ વિસ્તારને બાજુમાં રાખીને ક્યારેય ન થઇ શકે,તેમ મહાત્મા ગાંધીજીએ આઝાદી પહેલા જ કહ્યું હતું. દુર્ભાગ્યવશ ગ્રામીણ વિકાસના ત્રણ મહત્વપૂર્ણ અંગ કૃષિ,પશુપાલન અને સહકાર ક્ષેત્રને આઝાદી બાદના અનેક વર્ષો સુધી નજર અંદાજ કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી એકવાર મહાત્મા ગાંધીના મંત્રને પુનર્જીવિત કરવા માટે આ ત્રણેય ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકીને દેશમાં નવા પરિવર્તનની શરૂઆત કરી હતી. દેશની ૮૦ ટકા વસ્તીનું ભવિષ્ય નિર્ધારિત કરતા ગ્રામીણ વિકાસ,કૃષિ અને સહકારિતા મંત્રાલયને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ આ ત્રણેય મંત્રાલયના સંયુક્ત બજેટમાં વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ત્રણ ગણો વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૪માં આ ત્રણેય મંત્રાલયનું સંયુક્ત બજેટ રૂ. ૧.૦૨ લાખ કરોડ હતું,જે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૩.૧૫ લાખ કરોડથી વધુ થયું છે,તેમ કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

