ગુજરાતનું રૂ. ૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ ‘વિકસિત ગુજરાત@૨૦૪૭‘નો મજબૂત પાયો: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
ગુજરાતનોDebt-to-GSDPરેશિયો નિયત મર્યાદા (૨૭ ટકા)થી ઘણો નીચો ૧૮.૨ ટકા; પંજાબમાંDebt-to-GSDPરેશિયો ૪૭ ટકા અને હિમાચલમાં ૪૫ ટકા
NCAERના અહેવાલ મુજબ,છેલ્લા ૧૦ વર્ષમાં દેવાના રેશિયોમાં ઘટાડો કરવામાં ગુજરાત દેશમાં સર્વશ્રેષ્ઠ
ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના ઐતિહાસિક અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને રાજ્ય સરકારના વિઝન અને સિદ્ધિઓને ગૃહ સમક્ષ રજૂ કરી હતી. તેમણે આ અંદાજપત્રને સાડા છ કરોડ ગુજરાતીઓના સપનાઓને સાકાર કરતો અને‘વિકસિત ગુજરાત@૨૦૪૭’નો મજબૂત પાયો નાખતો એક જીવંત દસ્તાવેજ ગણાવ્યો હતો.
મંત્રી શ્રી વાઘાણીએ દિન વિશેષની નોંધ લઈને ગુજરાતના પનોતા પુત્ર અને વીર કવિ નર્મદ તેમજ વીર સાવરકરને તેમની પુણ્ય તિથી નિમિત્તે ભાવાંજલિ પાઠવી હતી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવક તરીકે ૨૪ વર્ષ પૂર્ણ કરી દેશને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. વર્ષ ૨૦૦૬-૦૭માં તેમણે આ જ ગૃહમાં આપેલી વિકાસની વ્યાખ્યા “વિકાસ ટુકડાઓમાં નહીં,પણ અખંડ હોય”,તે આજે સાચી સાબિત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં રાજકીય સ્થિરતા છે,તેથી નિર્ણાયક સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરી રહી છે.
મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે,નાણા મંત્રીશ્રીએ રજૂ કરેલું અંદાજપત્ર ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે આંકડાકીય તુલના કરતા જણાવ્યું કે,વર્ષ ૨૦૦૧-૦૨માં આ અંદાજપત્રનું કદ માત્ર રૂ. ૩૬,૦૦૦ કરોડ હતું,જે આજે ૧૧૦૦ ટકાના વધારા સાથે રૂ. ૪,૦૮,૦૫૩ કરોડ થયું છે. તેવી જ રીતે,રાજ્યની માથાદીઠ આવક પણ રૂ. ૧૯,૭૧૩થી વધીને રૂ. ૩,૦૧,૦૦૦ થઈ છે,જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦% વધુ છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા છે.
રાજ્યની નાણાકીય તંદુરસ્તી અંગે નીતિ આયોગના‘ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્ષ-૨૦૨૫’નો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી વાઘાણીએ ગર્વભેર જણાવ્યું કે,ગુજરાત “Achiever”શ્રેણીમાં એટલે કે પ્રથમ કેટેગરીમાં સ્થાન ધરાવે છે. બીજી તરફ,વિપક્ષ શાસિત પંજાબ,કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો નાણાકીય વ્યવસ્થાપનમાં સૌથી છેલ્લી‘એસ્પીરેશનલ’કેટેગરીમાં છે. પહેલા બજેટ હંમેશા ખોટવાળા રહેતા,આજે ગુજરાત રૂ. ૨૫,૫૮૬ કરોડની મહેસૂલી પુરાંત ધરાવતું રાજ્ય બન્યું છે.
જ્યારે પણ દેવાની વાત આવે,ત્યારે કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરે છે. પરંતુ સત્ય એ છે કે,સરકાર કોઈ ગૃહિણીની જેમ માત્ર બચત કરીને રાજ્ય ન ચલાવી શકે. હાઈવે,બ્રિજ,નર્મદા ડેમ અને હોસ્પિટલો જેવા મોટા કામો માટે જંગી મૂડી જોઈએ. દેવું કરીને મોજશોખ કરવો તે‘બિન-ઉત્પાદક’છે,પણ દેવું કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ “ઘી પીવા” સમાન ઉત્પાદક રોકાણ છે,જેના પરિણામે જ આજે ગુજરાત નાણાકીય શિસ્તમાં અવ્વલ છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે,ગુજરાતનું જાહેર દેવુંGSDPના માત્ર ૧૮.૨ ટકા છે,જે કાયદાકીય મર્યાદા ૨૭ ટકાથી ઘણું નીચું અને અત્યંત શિસ્તબદ્ધ છે.
આ સંદર્ભે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે,ગુજરાતનોDebt-to-GSDPરેશિયો ૧૮.૨ ટકા જેટલો નીચો છે,જે નિયત ૨૭ ટકા કરતા ઘણો ઓછો છે,જ્યારે વિપક્ષ શાસિત પંજાબમાંDebt-to-GSDPરેશિયો ૪૭ ટકા અને હિમાચલમાં ૪૫ ટકા છે. ગુજરાતનોGSDPસદ્ધર હોવાથી જ તેને દેવું મળે છે,ભિખારીને કોઈ ઉછીના નાણા ન આપે.NCAERના અહેવાલ મુજબ,છેલ્લા ૧૦ વર્ષમાં દેવાના રેશિયોમાં ઘટાડો કરવામાં ગુજરાત દેશમાં સર્વશ્રેષ્ઠ છે.
મંત્રીશ્રીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે,જે લોકોએ દાયકાઓ સુધી આંખે પાટા બાંધીને રાજકારણ કર્યું છે,તેમને વિકાસનો સૂર્યોદય દેખાતો નથી. તેમણે કોંગ્રેસના શાસનકાળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે,કોંગ્રેસના સમયમાં અંદાજપત્રો માત્ર આંકડાઓની માયાજાળ હતા,જેમાં વિકાસનું કોઈ સંકલિત માળખું નહોતું. તેમના શાસનમાં ભ્રષ્ટાચાર,કૌભાંડો અને‘ગરીબી હટાવો’ના માત્ર પોકળ નારા હતા. કોંગ્રેસની સરકારોએ દેશના અર્થતંત્રને‘અનર્થતંત્ર’બનાવી દીધું હતું. તેમણે જનતાને વાસી ગુલાબ પણ ના આપ્યું. પણ કેટલાક નેતાઓ પોતે દરરોજ તાજા ફૂલો અને પેરીસથી ઈસ્ત્રી થઈને આવેલ કપડા પહેરતા હતા.

