મેટ્રો મુસાફરોની સુવિધા અને સુરક્ષા અર્થે જાહેરનામું
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક ૬૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે.
મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧, પેટા કલમ ૧૨ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે.
નવા જાહેરનામા અનુસાર, મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોની બિÂલ્ડંગ, પ્લેટફોર્મ કે વાયરને થતા નુકસાન અંગેના ગુનાઓ માટે સેક્ટર મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જે અંતર્ગત સેક્ટર-૧ ના હદ વિસ્તારમાં આવતા ઝોન-૧, ઝોન-૭, ઝોન-૨ અને ઝોન-૩ ના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડીયા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ, વાડજ, એલિસબ્રિજ, સરખેજ, વાસણા,
વેજલપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, સેટેલાઈટ, ચાંદખેડા, માધવપુરા, રાણીપ, સાબરમતી, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, કારંજ, શાહપુર, કાલુપુર, શહેર કોટડા, ગાયકવાડ હવેલી અને ખાડીયા વગેરે વિસ્તારોમાં બનતી ઘટનાઓ માટે પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની રહેશે.
આ વ્યવસ્થાથી મુસાફરોને અલગ-અલગ સ્થાનિક પોલીસ સ્ટેશનો વચ્ચે મુંઝવણ અનુભવવી પડશે નહીં. તેવી જ રીતે, સેક્ટર-૨ ના હદ વિસ્તારમાં આવતા ઝોન-૪, ઝોન-૫ અને ઝોન-૬ હેઠળના પોલીસ સ્ટેશનો જેવા કે દરિયાપુર, શાહીબાગ, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણીનગર, નરોડા, સરદાર નગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રામોલ, ઇસનપુર, મણીનગર, વટવા, વટવા જીઆઇડીસી, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ વગેરે વિસ્તારોમાં મેટ્રો ટ્રેન કે મિલકતને લગતા ગુનાઓ માટે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.

