ઉમરેઠના બેચરી ગામે પતિ, સાસુ-સસરા અને કાકા સસરાએ ભેગા મળી ત્રાસ આપતાં હોઈ ત્રણ દિવસ અગાઉ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
આણંદ,આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામે રહેતી એક પરિણીતાને પતિ, સાસુ-સસરા અને કાકા સસરાએ ભેગા મળીને માત્ર ૧૧ મહિનાના લગ્નગાળા દરમ્યાન અવારનવાર કોઈને કોઈ બહાને શારીરિક માનસિક ત્રાસ આપતાં હતા. જેથી પરિણીતાએ ત્રણ દિવસ અગાઉ પોતાના ઘરે બીજા માળે પતરાંના શેડની લોખંડની એંગલમાં સાડી ભરાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાે હતો. આ બનાવમાં ઉમરેઠ પોલીસે મરનાર પરિણીતાના પિતાની ફરિયાદના આધારે પતિ સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામે નવા ઘરાં વિસ્તારમાં રહેતા ફુલાભાઈ નારસિંહ રાજ ની ૨૧ વર્ષીય દીકરી મનીષાબેનના લગ્ન ૧૧ માસ અગાઉ ઉમરેઠ તાલુકાના બેચરી ગામે ઈન્દીરા નગરી વિસ્તારમાં રહેતા ભરતસિંહ ફતેસિંહ ગોહેલ સાથે કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં થોડા સમય લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતું. લગ્નના થોડા જ દિવસો બાદથી પરિણીતા મનીષાબેનને તેઓના પતિ ભરતસિંહ ફતેસિંહ ગોહેલ, સસરા ફતેસિંહ મહેન્દ્રસિંહ ગોહેલ, સાસુ રમીલાબેન ફતેસિંહ ગોહેલ અને કાકા સસરા લાલભાઈ મહેન્દ્રસિંહ ગોહેલ ભેગા મળીને અવારનવાર કોઈને કોઈ બહાને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.
મનીષાબેન છેલ્લા ૧૧ માસથી પોતાનું લગ્ન જીવન બચાવવા માટે ત્રાસ સહન કરતા હતા. પરંતુ પતિ તેમજ સાસુ-સસરા અને કાકા સસરા દ્વારા કોઈને કોઈ રીતે ત્રાસ આપવાનું ચાલુ જ રાખવામાં આવ્યું હતું. આખરે ગત બુધવારે બપોરના સમયે પરિણીતા મનિષાબેને પતિ ભરતસિંહ, સસરા ફતેસિંહ, સાસુ રમીલાબેન અને કાકા સસરા લાલભાઈના ત્રાસથી કંટાળી જઈ ઘરના બીજા માળે મારેલા પતરાંના શેડની લોખંડની એંગલમાં સાડી ભરાવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ફુલાભાઈ નારસિંહ રાજની ફરિયાદ લઈ ઉમરેઠ પોલીસે ભરતસિંહ ફતેસિંહ ગોહેલ સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1

