Chandra Grahan temple timing: રવિવાર તા.7 સપ્ટેમ્બરે રાત્રે 8:58થી મધ્યરાત્રિના 2:25 વાગ્યા સુધી (દરેક શહેરનો સ્થાનિક સમયમાં નજીવો તફાવત) પૂર્ણ ચંદ્રગ્રહણ યોજાશે. આ ચંદ્રગ્રહણમાં ચંદ્ર રક્તવર્ણ (બ્લડ મૂન) થશે અને આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાનાર હોવાથી અનેક ધર્મસ્થાનોએ, ઘરે ઘરે સૂતક પળાતું હોય છે ત્યારે સૌરાષ્ટ્રના મંદિરોમાં પણ ટાઈમીંગ વગેરે ફેરફાર કરાયા છે. પરંતુ, પ્રસિધ્ધ ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં રોજના ક્રમ મૂજબ જ મંદિરમાં આરતી, દર્શન વગેરે યથાવત્ રહેશે જ્યારે સોમનાથ મંદિરમાં સવારે 11:19ના વેધ પ્રારંભથી રાત્રિના 2:05 વાગ્યે ગ્રહણ મોક્ષ સુધી પૂજન, અભિષેક, સાયં આરતી વગેરે બંધ રહેશે.
ચોટીલા ચામુંડાધામ રાબેતા મુજબ ખુલ્લું
ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજીના ધામમાં 160 વર્ષથી વંશ પરંપરાગત પૂજન કરતા મનસુખગિરિએ જણાવ્યું કે મંદિરમાં પહેલેથી જ ગ્રહણના દિવસે કોઈ દર્શન, આરતી વગેરે યથાવત્ ચાલુ રાખવાની પરંપરા રહી છે. આ રવિવારે ભાદરવી પૂનમનું માતાજીના ભક્તોમાં વિશેષ મહત્ત્વ હોવાથી અંબાજીની જેમ અહીં પણ ભીડ ઉમટે છે. વળી, આ દિવસે રવિવારની રજા છે. હજારો પદયાત્રિકો સહિત અંદાજે એક લાખ ભાવિકોનો અંદાજ ધ્યાને લઈને મંદિરના દ્વાર ત્રણ કલાક વહેલા શનિવારે મધ્યરાત્રિના 2:30 વાગ્યે જ ખુલી જશે અને 3:00 વાગ્યે આરતી થશે. તેમજ સાયં આરતી પુનમના દિવસે રવિવારે સાંજે 7:00 વાગ્યે થશે. ગ્રહણના દિવસે માતાજીના મંત્રજાપ સહિત સાધના અનેકગણું ફળ આપે છે
ચંદ્રગ્રહણ દરમિયાન સોમનાથ મંદિર માત્ર દર્શન માટે ખુલ્લું રહેશે
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અનુસાર ચંદ્રગ્રહણ શાસ્ત્રોક્ત રીતે પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવાનું આવશ્યક રહે છે જે અન્વયે સ્થાનિક સમય મૂજબ સવારે 11:19 વાગ્યાથી વેધ પ્રારંભ અને રાત્રે 8:10થી 2:05 સુધી ગ્રહણ છે, જે સમયમાં ટ્રસ્ટના સોમનાથ સહિત તમામ મંદિરોમાં મધ્યાન્હ પૂજન, સંધ્યા આરતી, રૃદ્રાભિષેક વગેરે બંધ રહેશે. માત્ર દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. તા.8:00ના સવારે રાબેતામૂજબ દૈનિક પૂજા, આરતી વગેરેનો પ્રારંભ થશે.

