લેખક: પ્રો. હેમન્તકુમાર શાહ
પ્રકાશક: ‘અનુસંધાન’, તા.૩૧-૧૦-૨૦૨૫
ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડ તદ્દન અપારદર્શક
અત્યારે ભારે કમોસમી વરસાદના સંદર્ભમાં ગુજરાતમાં ખેડૂતોને અને અન્ય નાગરિકોને જે નુકસાન થયું છે તેના બદલામાં રાજ્ય સરકાર તેમને નાણાકીય રાહત પૂરી પાડે એવી માગણી સ્વાભાવિક રીતે જ ઊઠી છે. ત્યારે ગુજરાતમાં કોઈ પણ આપત્તિગ્રસ્ત લોકોને રાહત આપવા માટેની જે પ્રાથમિક સરકારી વ્યવસ્થા છે તે કેવી છે તેની સમજ મેળવવી જરૂરી છે. સામાન્ય રીતે જ્યારે પણ મોટી આપત્તિ આવે ત્યારે ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરે છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપે છે. તુલનાત્મક રીતે સુખી લોકો, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસનના સિદ્ધાંતો શું આ ફંડને લાગુ પડે છે ખરા? કેટલાક મુદ્દા જોઈએ:
(૧) ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડ ૧૯૬૭માં રચાયું હતું. તે એક ખાનગી ફંડ છે, સરકારી નહિ. તેનો વહીવટ મુખ્ય મંત્રીના અધ્યક્ષપદ હેઠળની પાંચ સભ્યોની સમિતિ કરે છે. રાજ્ય સરકારનું મહેસૂલ ખાતું તેનું સંચાલન કરે છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે આ ફંડના નિયમો બહાર પાડ્યા છે. તેનો નિયમ-૧ એમ કહે છે કે, “આ ફંડ જાહેર હિસાબ બહાર રચાયેલું ખાનગી ફંડ રહેશે.” તા. ૧૮-૦૧-૧૯૬૭ના આ જ વિભાગના ઠરાવમાં પણ એમ લખવામાં આવ્યું છે કે, “આ ફંડ રાજ્ય સરકારના જાહેર હિસાબની બહાર રાખવામાં આવશે.” જાહેર હિસાબ એટલે એવી રકમ કે જે સરકારની છે નહિ પણ સરકાર તે ધરાવે છે અને તેનો હિસાબ પણ રાખે છે. જેમ કે, પ્રોવિડન્ટ ફંડ, નાની બચત અને અન્ય થાપણો વગેરે. ઉપરોક્ત નિયમનો અર્થ એવો થાય છે કે મુખ્ય મંત્રી રાહત ફંડનો સમાવેશ આ જાહેર હિસાબમાં કરવામાં આવતો નથી. જાહેર હિસાબની રકમ કેટલી છે તે તો બજેટમાં દર્શાવવામાં આવે છે ખરી, પણ તેમાં આ રાહત ફંડની રકમનો સમાવેશ કરવામાં આવતો નથી. આમ, આ ફંડ સરકારની એક ખાનગી પેઢીની જેમ વર્ષોથી ચાલે છે.
(૨) ફંડનું નામ એવું છે કે લોકોને તો એમ જ લાગે છે કે આ સરકારી ફંડ છે. પણ એ સરકારી ફંડ છે જ નહિ; માત્ર તેનો વહીવટ રાજ્ય સરકાર કરે છે એટલું જ. નામ ‘ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડ’ રાખીને રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોમાં એક ભ્રમ ઊભો કર્યો છે!
(૩) આ ફંડના આવકજાવકના હિસાબો જાહેર કરવામાં આવતા નથી, વિધાનસભામાં પણ તે રજૂ થતા નથી. થોડાં વર્ષો અગાઉ માહિતી અધિકાર ધારા હેઠળ તેની માહિતી મેળવવા માટે અરજી કરાઈ ત્યારે પણ તેની માહિતી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી નહોતી અને એમ કહેવામાં આવ્યું હતું કે આ તો એક ખાનગી ફંડ છે. આ ફંડ અંગેની કોઈ જ વિગત ફંડની વેબસાઈટ પર પણ મળતી નથી.
(૪) કેટલા પૈસા ફંડમાં દાન પેટે આવ્યા અને તે ક્યારે, કોના માટે અને કયા હેતુ માટે ખર્ચાયા તે જાણવાનો લોકોને અધિકાર છે પણ રાજ્ય સરકાર તે અધિકારને માન્ય રાખતી નથી.
(૫) અત્યારે પહેલાં આ ફંડમાં કેટલા પૈસા છે તે સરકાર જાહેર કરે, તેનો વિગતવાર હિસાબ જાહેરખબર આપીને જાહેર કરે તો લોકોને ખ્યાલ આવે કે ફંડમાં કેટલા પૈસા હાજર છે. ફંડમાં પૈસા લેવા જો સરકાર દ્વારા જાહેરખબરો આપી શકાય તો નાગરિકોને હિસાબ આપવા પણ જાહેરખબર આપી શકાય.
(૬) ફંડના નિયમોમાં ક્યાંય એનું ઓડિટ થશે એવું લખાયું નથી. નિયમ-૧૪ કહે છે કે, “દરેક વર્ષનો હિસાબ અને સરવૈયું સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.” ફંડમાં દાન ભેગું કરે સમિતિ, ફંડમાંથી ખર્ચ કરે સમિતિ અને સમિતિ પોતે જ પોતાને અહેવાલ આપે! આ તો પેલા સુખ્યાત કે કુખ્યાત દલા તરવાડી જેવો ઘાટ થયો ના કહેવાય? આને પારદર્શિતા કેવી રીતે કહેવાય? આ ફંડને લીધે કેટલા લોકોને કેટલો લાભ શામાં થયો તે જાણવાનો અધિકાર ગુજરાતના ભારતીય નાગરિકોને ખરો કે નહિ?
(૭) ફંડના નિયમ-૭માં આ ફંડમાંથી “વ્યક્તિઓ અને સંસ્થાઓ”ને “ગ્રાન્ટ” આપવામાં આવશે એમ જણાવાયું છે. તો કોને કેટલી ગ્રાન્ટ અપાઈ તે જાણવાનો હક નાગરિકોને નથી? સરકાર ગમે તે સંસ્થાને કે વ્યક્તિઓને ગ્રાન્ટ આપી શકે છે અને તેની માહિતી પણ લોકોને મળતી નથી.
(૮) જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં દાન મેળવીને પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત સુશાસનના પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.
સરકારનું કામ દાન મેળવવાનું નહિ, કરવેરા નાખવાનું
રાજ્ય સરકારનું કામ દાન મેળવવાનું છે જ નહિ, સરકારનું કામ તો નાગરિકો પર કરવેરા નાખીને નાણાં ભેગાં કરીને વાપરવાનું છે. કયા વેરા ઉઘરાવવા એને વિશેની જોગવાઈ ભારતના બંધારણમાં અનુસૂચિ-૭માં કરવામાં આવી છે. એ વેરા ઉઘરાવવા માટે વિધાનસભા કાયદા કરે છે અને સરકાર પછી તે કાયદાનો અમલ કરવા માટે નિયમો ઘડે છે. જો સરકાર પાસે કોઈ આપત્તિને પહોંચી વળવા માટે પૂરતી રકમ હાજર ન હોય તો તે હયાત કરવેરામાં વધારો કરી શકે છે, નવા કરવેરા નાખી પણ શકે છે. આ અનુસૂચિમાં પણ ક્યાંય સરકાર દાન ઉઘરાવે એવું લખવામાં આવ્યું નથી. તેમ છતાં સરકાર દાન ઉઘરાવે છે અને મન ફાવે તેમ એ દાનની રકમ વાપરે છે.
વળી, દાન તો સ્વૈચ્છિક છે, પણ કરવેરા ફરજિયાત છે. સરકારને જેને જેટલું દાન આપવું હોય તેટલું તે આપે છે, કોઈ ન પણ આપે. એટલે સરકારે ધનવાનો પર વધુ વેરા નાખીને જ પૈસા ભેગા કરવા જોઈએ અને આપત્તિગ્રસ્ત લોકોને રાહત આપવા માટે તે વાપરવા જોઈએ. વળી, ભારતના બંધારણમાં રાજ્યે એટલે કે સરકારે શું કરવું જોઈએ તેના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રકરણ-૪માં આપવામાં આવ્યા છે. તેમાં પણ ક્યાંય સરકારને દાન ભેગું કરીને આપત્તિગ્રસ્ત લોકોને રાહત આપવામાં આવે એવું લખવામાં આવ્યું નથી.

